અમદાવાદના ચંડોળામાં આજે ફરી બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી યથાવત, 150થી વધુ દબાણો દૂર કરાયા
Chandola Talav Demolition 2 day : અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં મંગળવારે સવારથી બે હજારથી વધુ પોલીસ જવાન, અધિકારી તથા દસ એસ.આર.પી.ટીમના ચુસ્ત બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટીમોએ બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. 60 ટકા કામગીરી પુરી કરાઈ છે. ત્યારબાદ આજે ફરી ચંડોળા તળાવ ખાતે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આવતીકાલે 1 મેના રોજ પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત્ રહેશે.
આજે વહેલી સવારે ચંડોળા તળાવ ખાતે ડિમોલિશનની કાર્યવાહી કરતાં અંદાજે નાના મોટા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડી પાડવામાં આવ્યા હતા. 2 હજારથી વધુ પોલીસ, SRPની 15 કંપની, AMCના 1800 જેટલા કર્મચારીઓ સહિત અન્ય ટૂકડી સાથે ડિમોલેશન હાથ ધરાયું હતું.
માનવતાને ધ્યાનમાં રાખીને 1-1 ઇંચ જગ્યા ખુલ્લી કરાવીશું: હર્ષ સંઘવી
ચંડોળા તળાવ ડિમોલિશન મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે અમે એ વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા છે જ્યાંથી અલ કાયદાના સહયોગી અને બાંગ્લાદેશી ગેરકાયદે રીત પકડાયા છે. અમે એ જગ્યાને ધ્વસ્ત કરી છે, જ્યાંથી અત્યાર સુધીમાં ડ્રગ્સ કાર્ટલ પકડાયા છે. અહીં નાની મુસ્લિમ બાળકીઓને બાંગ્લાદેશીઓએ વેશ્યાવૃત્તિનો શિકાર બનાવી હતી. અહીંથી મોટાપાયે ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. રાજ્યના નાગરિકોના હિતમાં અમે 1-1 ઇંચ જગ્યા ખાલી કરાવીને રહીશું. માનવતાને ધ્યાનમાં રાખીને આ કામને પૂર્ણ કરવામાં આવશે. તળાવની જે સવા લાખ મીટર જગ્યા છે તેને ગેરકાનૂની બાંગ્લાદેશીઓએ પચાવી પાડી હતી.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ડિમોલિશનની કામગીરી આજે પણચાલુ છે અને આવતીકાલે પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. આજે સાંજે આ તમામ કાર્ય અંગેની ઓફિશિયલ વિગત જાહેર કરવામાં આવશે.
ડિમોલિશન પર સ્ટેની અરજી હાઇકોર્ટે નકારી
ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજદારોએ રજૂઆતમાં દાવો કર્યો હતો કે નિયમોની વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં વસવાટ કરતાં લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત થયું નથી. ઘર તોડી પાડવા માટે અમને કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી. આ મામલે હાઇકોર્ટે અરજી નકારી કાઢી ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી.
અમદાવાદના ચંડોળામાં 'મિનિ બાંગ્લાદેશ'
ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. તળાવની એક લાખ ચોરસ મીટર જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કર્યા હતા.દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે કહ્યું,જે મકાન આઈડેન્ટિફાય કરાયા હતા તે તોડવામાં આવ્યા છે. 60 ટકા કામગીરી પુરી કરાઈ છે. તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હજુ બે દિવસ ચાલશે.
ચંડોળા તળાવની હજુ કેટલી જગ્યા ખુલ્લી કરવાની બાકી એ બાબતને લઈ તંત્રનું મૌન
અમદાવાદનુ ચંડોળા તળાવ ડેવલપ કરવા રાજય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યુ હતું. વર્ષોથી આ તળાવમાં ગેરકાયદેસર બંગલા, રીસોર્ટ અને અંદાજે બે હજાર ઝૂંપડાના દબાણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની રહેમનજર હેઠળ ફૂલ્યાફાલ્યા હતા. સામાન્ય માનવીના ઓટલા તોડી પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ચંડોળા તળાવમાં થતાં ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ કર્યા હતા.વર્ષ-2024માં આશરે 10.96 લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને ડેવલપ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા 20 કરોડનુ ટેન્ડર બહાર પડાયુ હતુ.એક વર્ષ પછી તળાવ ડેવલપમેન્ટની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે.કેટલા ટકા કામગીરી પુરી કરાઈ તે અંગે કોઈ બોલવા તૈયાર નથી.