જામનગરના બચુનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન
અંદાજે 200 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરાવવા તંત્રની ક્વાયત : 294 મકાનો સહિતના દબાણો દૂર કરવા જુદી - જુદી 3 ટીમોમાં 200થી વધુ કર્મીઓનો કાફલો જોડાયો
જામનગર, : જામનગર મહાનગર પાલિકા દ્વારા આખરે આજે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશનનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે. અને 294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે મનપાના 100થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે. અને ૧૦૦થી વધુનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની ક્વાયત હાથ ધરવામાં આવી છે. અને ગત એપ્રિલ માસથી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે.
ખાસ કરીને બચુનગર વિસ્તારમાં અંદાજે ૩૯૪ જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા માટેની તમામ પ્રકારની અંતિમ નોટિસો આપી દેવામાં આવી હતી. અને માલ સામાન કાઢવા માટેની પણ મહેતલ અપાઇ હતી. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ગયા બાદ આજે સવારથી મેગા ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યો હતું. ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા તથા અન્ય અધિકારીઓની ટીમ સહિત 100 કર્મચારીઓની જુદી જુદી ત્રણ ટીમો બનાવીને તેમાં ત્રણ હિટાચી મશીનો, 12 જેસીબી મશીન અને 12 ટ્રેકટર સહિતની મશીનરી દ્વારા વહેલી સવારથી ડિમોલિશનનો કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું છે. આ કામગીરી સમયે સ્થાનિક લોકોના મોટા ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા, જો કે વિના વિરોધે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવમાં આવી છે. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળ પર જાતે હાજર રહ્યા હતા. અને સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની સાથે મોટો પોલીસ કાફલો ગોઠવી દઇ ધાર્મિક સ્થળવાળી જગ્યા વાળું દબાણ પણ સંપૂર્ણપણે દૂર કરાવી દીધું હતું.