વડોદરા શહેરમાં હરણી-સ્વામિનારાયણ મંદિરથી પાણીગેટ સુધીના કાચા પાકા દબાણોનો સફાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં ચારે બાજુએ દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલિકા વોર્ડ 14માં દબાણ શાખાની ટીમ દ્વારા આજે સપાટો બોલાવીને 20 જેટલા કાચા પાકા ઓટલા પર બુલડોઝર ફેરવી કાચા શેડ, ખાણી પીણીની લારી, ગલ્લા સહિતના અનેક દબાણોનો સફાયો કરાયો હતો. જ્યારે વિસ્તારની મટન મચ્છીની દુકાનો આગળ પડદા રાખી ધાર્મિક લાગણી દુભાય નહીં એવી રીતે વેપાર ધંધો કરવા દુકાનદારોને ચીમકી આપીને તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નાના મોટા દબાણોના કારણે રોડ રસ્તા સાંકડા થઈ ગયા બાદ દબાણ શાખાની કાર્યવાહીથી તમામ રોડ રસ્તા ખુલ્લા થયા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના અંતરિયાળ બાજવાડાના વોર્ડ નં. 14માં અનેક ઠેકાણે નાના મોટા કાચા પાકા દબાણો થઈ જતા રોડ રસ્તા સાંકડા થઈ ગયા હતા. આ અંગે વોર્ડના તમામ ચારેય કોર્પોરેટરોએ પાલિકા તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદો કરી હતી.
અંતે આજે વહેલી સવારથી જ દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે પોલીસ બંદોબસ્ત ના સહારે વિસ્તારમાં ત્રાટકી હતી. હરણી સ્વામિનારાયણ મંદિર આસપાસથી કેટલાય કાચા શેડ, કાચા પાકા ઓટલા તથા ખાણી-પીણીની લારીઓ સહિત અનેક લારી ગલ્લાના હંગામી દબાણો દૂર કરાયા હતા. આ ઉપરાંત વિસ્તારમાં દુકાનોમાં લટકાવાયેલ મટન ચિકનના દુકાનદારોને કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં એવી રીતે વેપાર ધંધો કરવા સલાહ આપવામાં આવી હતી. આ અંગે દુકાનો આગળ પડદા રાખવાની પણ ભલામણ કરાઈ હતી. જોકે આ અંગે તંત્રને અલગથી કાર્યવાહી કરવા પણ દબાણ શાખાના અધિકારી દ્વારા જણાવાયું હતું. આવી જ રીતે છેક પાણીગેટ સુધી રોડ રસ્તા પર બનાવાયેલા કાચા પાકા અને ઓટલા સહિત રોડ રસ્તા પર જાહેર નળ પાસે મૂકવામાં આવેલા પાણીના વાસણો હટાવી લેવા સ્થાનિકોને ખાસ સુચન કરવામાં આવ્યું હતું.
પાલિકા તંત્રની દબાણ શાખાએ કરેલી કાર્યવાહીમાં અનેક જગ્યાએ તમાશો જોવા લોક ટોળા એકત્ર થયા હતા પરંતુ સ્થાનિક પોલીસ તંત્રની મદદથી તમામને સમજાવટથી હટાવવામાં આવ્યા હતા. દબાણ શાખાની કાર્યવાહીથી વિસ્તારના તમામ રોડ રસ્તા ખુલ્લા થતા વાહનચાલકોમાં ખુશી ફેલાઈ હતી. તંત્રની આ કામગીરીમાં કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.








