ભાવનગરથી મુંબઈ અને પુણે સુધીની ફ્લાઇટ સેવા પુનઃ સ્થાપિત કરવા માંગણી
- બે ફ્લાઇટ્સ બંધ થતા ભાવનગરના લોકોની પરેશાની વધી
- વિમાની સેવા શરૂ કરવા સિન્ધી જનરલ પંચાયતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી
ભાવનગર શહેર માટે ઉડાન યોજના બંધ થવાને કારણે ભાવનગરથી મુંબઈ અને ભાવનગરથી પુણે સુધી લાંબા સમયથી કાર્યરત બે ફ્લાઇટ્સ અનુક્રમે કાયમ માટે બંધ રહેશે,જે ભાવનગર શહેરના લોકો માટે ખૂબ જ આઘાતજનક અને નિરાશાજનક સમાચાર છે. ભાવનગર શહેરમાં આશરે ૧૦ લાખ લોકોની વસતી છે અને શહેરના લોકો વર્ષોથી વાણિજ્યિક, વ્યાવસાયિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે મુંબઈ અને પુણે સાથે મુસાફરી કરી રહ્યા છે તેથી આ એરલાઇન સેવા ભાવનગર શહેરના લોકો માટે અનિવાર્ય છે. વિમાન સેવાઓ બંધ કરવામાં આવે તો ભાવનગર શહેરના વ્યવસાય, રોજગાર અને લોકોને ગંભીર અસર થવાની શક્યતા છે ત્યારે આ વિમાની સેવા પુનઃ સ્થાપિત કરવા સિન્ધી જનરલ પંચાયતના પ્રમુખે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને લેખિત રજૂઆત કરી છે અને તત્કાલ યોગ્ય પગલા લેવા માંગણી કરી છે.