Get The App

નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ 1 - image

- એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ કરી દેવાતા પાસ હોલ્ડરોને હાલાકી 

- અપડાઉન કરતા નોકરિયાતો અને ફેરિયાઓ ખાનગી વાહનોમાં જવા મજબૂર : ઈન્ટરસિટી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી મહેમદાવાદ અને મણિનગર જેવા મહત્વના સ્ટોપેજ બંદ કરાતા પરેશાની 

નડિયાદ : કોરોના મહામારીમાં બંધ કરેલી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ લોકલ ટ્રેનોને સદંતર બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત એક્સપ્રેસ ટ્રેનોને સુપર ફાસ્ટ તરીકે દોડાવવામાં આવતા અપડાઉન કરતા પાસ હોલ્ડરો મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલી વર્ષોથી દોડતી લોકલ ટ્રેનો શરૂ કરવા ગ્રામ્ય વિસ્તારના મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી છે.

અમદાવાદ-વડોદરા રેલવે લાઈન પર સંખ્યાબંધ લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો દોડતી હતી. આ ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ જોવા મળતી હતી. દૂધ અને શાકભાજીના વેપારીઓ, જીઆઇડીસીમાં નોકરી કરવા જતા લોકો માટે આ ટ્રેનો આશીર્વાદરૂપ હતી. પરંતુ કોરોના મહામારીમાં લોકડાઉન જાહેર થતા ટ્રેનો બંધ કરવામાં આવી હતી. લોકડાઉન બાદ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. પરંતુ મેમુ તેમજ લોકલ ટ્રેનનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા વધારે આવક મેળવવા એક્સપ્રેસ તરીકે દોડતી ટ્રેનોને સુપરફાસ્ટ કરી દેવામાં આવતા અપડાઉન કરતા મુસાફરો તેમજ પાસ હોલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદથી વડોદરા રેલવે લાઈન ઉપર આવેલા આણંદ, નડિયાદ, મહેમદાવાદ, ગોઠાજ, નૈનપુર, કનીજ,બારેજડી, ઉતરસંડા,કંજરી બોરીઆવી, વાસદ, વટવા, નંદેસરી સહિતના ગ્રામ્ય-શહેરી વિસ્તારોના દૈનિક હજારોની સંખ્યામાં વ્યવસાયિકો, નોકરિયાત , ફેરિયાઓ અને મુસાફરો રોજબરોજ ટ્રેનોમાં અવરજવર કરે છે. ત્યારે લોકડાઉનમાં બંધ કરેલી લોકલ ટ્રેનો શરૂ કરવામાં ન આવતા ગરીબ મધ્યમ વર્ગના અપડાઉન કરતા મુસાફરો ખાનગી વાહનોમાં અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે કોરોના કાળમાં બંધ કરેલી વિરમગામ-વલસાડ પેસેન્જર, વલસાડ-વિરમગામ પેસેન્જર, અમદાવાદ-મુંબઈ પેસેન્જર, મુંબઈ-અમદાવાદ પેસેન્જર, દાહોદ-આણંદ-ગાંધીનગર મેમુ તેમજ આણંદ-અમદાવાદ મેમુ ટ્રેનો પૂર્વવત દોડાવવા શરૂ કરવા માગણી કરી છે. હાલમાં આણંદથી અમદાવાદ તેમજ વચ્ચે આવતા ગ્રામ્ય સ્ટેશનો ઉપર પહોંચવા માટે બપોરે આણંદથી મેમુ પ્રસ્થાન કર્યા બાદ રાત્રે આણંદ આવતી વડોદરા-વટવા મેમુ સિવાય કોઈ વિકલ્પ નથી. સાંજની દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર ફાસ્ટ ટ્રેનમાં માત્ર બે-કે ત્રણ જનરલ કમ્પાર્ટમેન્ટ હોવા ઉપરાંત માત્ર બાજવા, વાસદ, આણંદ, કણજરી નડિયાદ, મહેમદાવાદ, બારેજડી સ્ટેશનો ઉપર થોભતી હોવાથી રણોલી, નંદેસરી, વટવા સ્ટેશન ઉપર લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા ખેડા આણંદ જિલ્લાના મુસાફરોમાંથી માગણી ઊઠવા પામી છે. આ બાબતે મુસાફરો દ્વારા આણંદના સંસદસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સુપરફાસ્ટ કરી દીધેલી સૌરાષ્ટ્ર અને ઇન્ટરસિટી ટ્રેનને એક્સપ્રેસ તરીકે દોડાવવા માંગ

અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી, જામનગર-સુરત અને પોરબંદર-મુંબઈ ટ્રેન સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તરીકે દોડતી હતી. આ ત્રણે ટ્રેનને સુપરફાસ્ટ કરી મહેમદાવાદ અને મણીનગર સ્ટેશનના સ્ટોપેજ બંધ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ટ્રેનોને એક્સપ્રેસમાં ફેરવી અગાઉના સ્ટેશનોને સ્ટોપેજ આપવા મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી છે.