Gujarat

વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ

By GS TEAM
18 Feb 20261 min read
વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ

- દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની?

- વાસમોના અધિકારીઓ નવી ટાંકી બનાવતા પહેલા જૂની ટાંકી તોડવાના શરત મુકતા ગ્રામજનોને હાલાકી

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ખોડુ ગામમાં પીવાના પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ૧૫ હજારની વસ્તી પર જોખમ તોળાઈ રહ્યું છે. ટાંકીના પિલર તૂટી ગયા છે અને સિમેન્ટના પોપડા સતત નીચે પડી રહ્યા છે, જેના કારણે આસપાસ રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. 

સ્થાનિકોની રજૂઆત બાદ સરપંચે કલેક્ટર અને વાસમોના અધિકારીઓને લેખિત રજૂઆત કરી ટાંકી ઉતારી લેવા માંગ કરી છે. સરપંચના આક્ષેપ મુજબ, વાસમોના અધિકારીઓ નવી ટાંકી બનાવતા પહેલા જૂની ટાંકી તોડી પાડવાની શરત મૂકી રહ્યા છે. જોકે, ગામમાં પીવાના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઇ ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. 

સરપંચે માંગ કરી છે કે પહેલા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને ત્યારબાદ જર્જરિત ટાંકી હટાવવામાં આવે. ટાંકીમાંથી સતત પાણી લીકેજ થઈ રહ્યું છે અને ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય છે. સરપંચે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને જવાબદાર અધિકારીઓની રહેશે. જર્જરિત ટાંકી તાત્કાલિક ઉતારી નવી ટાંકી મંજૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે.