ઉત્તરાયણ પૂર્વે વાહન ચાલકોની સુરક્ષા માટે
ભૂતકાળમાં ઓવરબ્રિજ પર પતંગની દોરીથી વાહન ચાલકોના ગળા કપાવાની ઘટનાઓ બની હતી
વિરમગામ - વિરમગામ શહેરના નવા વિકસિત વિસ્તારોને જોડતા ભોજવા અને નીલકી રેલવે ઓવરબ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં સોસાયટીના રહીશો અને ધંધાર્થીઓ અવરજવર કરે છે. આગામી ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં પતંગની ઘાતક દોરીઓનું વેચાણ શરૃ થઈ ચૂક્યું છે.
ભૂતકાળમાં નીલકી ઓવરબ્રિજ પર પતંગની દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની ગંભીર દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
કોઈપણ જાનહાનિ કે ગંભીર ઈજા ન થાય તે માટે સુરક્ષાના ભાગરૃપે બંને ઓવરબ્રિજની બંને બાજુ લોખંડના તાર (સેફ્ટી ગાર્ડ) લગાવવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જવાબદાર સરકારી તંત્ર દ્વારા વહેલી તકે આ દિશામાં નક્કર કાર્યવાહી કરવામાં આવે તો વાહનચાલકો નિર્ભય બનીને મુસાફરી કરી શકશે અને સંભવિત અકસ્માતોને અટકાવી શકાશે.


