વન-વે અને એકી બેકી તારીખનું પાર્કિંગ જાહેરનામું રદ્દ કરવા માંગ
શહેરમાંથી કારેલીબાગ, ફત્તેગંજ, હરણી અને સમા જવાના રસ્તા માટે જાહેરનામું લાદી લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે
,સરદાર ભવનના ખાંચામાં રસ્તો વન-વે અને એકી-બેકી તારીખે પાર્કિંગ કરતું જાહેરનામું નગરજનોને કાયમી તકલીફો ઉભી કરનારૃં, ટ્રાફિકની સમસ્યા સર્જનારૃં અને અમલ કરવામાં મુશ્કેલી સર્જતું હોવાથી તાત્કાલિક રદ્દ કરવા માગણી કરાઈ છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે સરદાર ભવનનો ખાંચો રહેણાંક મકાનો ધરાવતો વિસ્તાર હતો, તે હવે કોમર્શિયલ થતા તેના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઈ છે. કેટલીક દુકાનો અને શોરૃમો દ્વારા ફાયર એન.ઓ.સી. બિલ્ડીંગ યુઝ ઓક્યુપેશન સર્ટિફિકેટ પણ ધરાવતા નથી, છતાં બાંધકામ પરવાનગી વિભાગ કાર્યવાહી કરતું નથી.
સરદાર ભવનનો ખાંચો નો રસ્તો કે જે જ્યુબિલીબાગ થી ભૂતડીઝાંપા ને જોડતો રસ્તો છે, વર્ષોથી શહેર વિસ્તારમાંથી કારેલીબાગ, ફત્તેગંજ, સમા, હરણી જવા માટે સૌથી સરળ રસ્તો છે. શહેર પોલીસે નગરજનોની અગવડ જોયા વગર લોકોની અવરજવર ઉપર વન-વે અને એકી-બેકી પાર્કિંગનું જાહેરનામું જારી કરી નગરજનો માટે મુશ્કેલી સર્જી છે. સરદાર ભવન લાઈનનો રસ્તો શહેરમાંથી આવ-જા માટે બંધ કરાય તો એના વિકલ્પ રૃપે જ્યુબિલીબાગથી હુજરાત પાગાનો રસ્તો ખુલ્લો અને દબાણ વગરનો રાખવો પડે, પણ કાર એસેસરીઝની દુકાનોનું અહીં ખૂબ દબાણ હોય છે. જ્યુબિલીબાગ પાછળ પડતા ચોકમાં છાસવારે તહેવારો ઉજવણી કરવા રસ્તા બંધ કરી દેવાય છે. જેથી નાગરિકો સરદાર ભવન લાઈનના રસ્તા પર વન-વે હોવાથી પસાર થઈ શકતા નથી.
હુજરાતપાગાના દબાણોને કારણે ત્યાંથી નીકળવું અઘરું થઈ પડે છે. સરદાર ભવન લાઈનને વન-વે કરવા માટેનું જાહેરનામુ માત્ર અહીંના વેપારીઓને સવલત કરી આપવા માટેનું હોય તેવો આક્ષેપ સમિતિએ કર્યો છે.