ખેતરના ભોગવટા મુજબ ખેડૂતોને નુક્સાન વળતર ચૂકવવા માંગણી
અધિકારીઓ, નેતાઓ સાથે કૃષિ મંત્રીની વિડીયો કોન્ફરન્સ
- સાયણ શુગરના સભાસદોની 2100 એકર જમીનમાં શેરડી કાપણી નહી થતા વળતર ચૂકવવા રજૂઆત
સુરત
સુરતની સાયણ શુગર ફેકટરીના સભાસદોની 2100 એકર જમીનમાં કાપણી નહીં થતા ખેડુતોને વળતર આપવા તેમજ ખેતરોના ભોગવટા પ્રમાણે વળતર ચૂકવવા કૃષિ મંત્રીને વિડીયો કોન્ફરન્સમાં રજુઆત થઇ હતી.
ગુજરાતના કૃષિ મંત્રીએ વાવાઝોડાના કારણે ખેતરોમાં થયેલા નુક્સાનનું વળતર કઇ રીતે ચૂકવવું ? તે મુદ્દે અદિકારીઓ તેમજ સ્થાનિક નેતાઓ સાથે વિડીયો કોન્સફરન્સ યોજી હતી. સ્થાનિક નેતાઓ રજૂઆત કરી હતી કે ઓલપાડની સાયણ શુગર ફેકટરીના સભાસદોની 2100 એક જમીનમાં ઉભેલી શેરડીની કાપણી બાકી રહી ગઇ છે. તે નુક્સાન બદલ ખેડૂતોને વળતર ચૂકવવા માંગ કરાઇ હતી. તેમજ ખેડૂતોને ખેતરના ભોગવટા મુજબ વળતર આપવા માંગણી કરાઇ છે. એટલે કે ચાર ભાઇઓના ચાર ખેતર હોય તો દરેકને નુક્સાન વળતર આપવું જોઇએ. રજૂઆતો બાદ વળતર ચૂકવણીમાં સરકાર શું ફેરફાર કરે છે ? તે માટે ખેડૂતો રાહ જોઇને બેઠા છે.