Gujarat

વડોદરા કોર્પોરેશનમાં નવ નિયુક્ત મેયર સહિતના પદાઅધિકારીઓની વરણીમાં વિલંબ

By GS TEAM
13 May 20262 mins read
TukuTouch Logo
પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળ્યા બાદ મ્યુનિ.કમિશનર એજન્ડા બહાર પાડે તેના પાંચ દિવસ બાદ બેઠક મળી શકે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનમાં નવ નિયુક્ત મેયર સહિતના પદાઅધિકારીઓની વરણીમાં વિલંબ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા બોર્ડ માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના પાંચ પદાધિકારીઓની નિમણૂક આગામી સપ્તાહ સુધી ટળી ગઈ છે. કારણ કે આ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એજન્ડા રજૂ થાય તેના પાંચમા દિવસે બેઠક મળે તેવો નિયમ હોવાથી હવે ચાલુ સપ્તાહે પદાધિકારીઓની વરણીની બેઠક થઈ શકે તેમ નથી. કોર્પોરેશનના ચૂંટણીના પરિણામ બાદ મેયર સહિતના પદાધિકારીઓની આગામી તા.15ના રોજ નિયુક્તિ થાય તેવી ધારણા હતી. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામો ગેજેટમાં પ્રસિદ્ધ થાય તે પછી જીપીએમસી કાયદા મુજબ જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેઠક અંગેનો એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવતો હોય છે તેના ત્રણ દિવસ પછીના દિવસે આ બેઠક કરી શકાતી હોય છે અને એજન્ડા પ્રસિદ્ધ થયાના બરાબર પાંચમા દિવસે આ બેઠક થઈ શકતી હોય છે. જેથી કમિશનર એજન્ડા કાઢે તેના પાંચમાં દિવસે નવા બોર્ડની પ્રથમ સભામાં મેયર સહિતના પદાધિકારીઓના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતા હોય છે. હવે આજે બુધવાર હોવાથી હવે ચાલુ સપ્તાહે બેઠક મળી શકે તેમ નથી. 

એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ હજી મળવાની બાકી છે તેને કારણે વડોદરા કોર્પોરેશનના પાંચ પદાધિકારીઓની નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે. જેથી ચાલુ સપ્તાહે પાલિકાના નવા પદાધિકારીઓની નિમણૂક કરાઈ શકાય તેમ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી તા.18થી 22ની વચ્ચે ગમે ત્યારે આ અંગેની બેઠક મળે તેવી સંભાવના છે.