Get The App

જામનગરમાં મહિલાનું મકાન ખાલી કરાવનાર દીવલો ડોન અને તેના સાગરીતની અટકાયત : દીવલો જેલહવાલે

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં મહિલાનું મકાન ખાલી કરાવનાર દીવલો ડોન અને તેના સાગરીતની અટકાયત : દીવલો જેલહવાલે 1 - image

Jamnagar Crime : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાનું મકાન બળજબરીપૂર્વક મકાન ખાલી કરવા અંગેના પ્રકરણમાં પોલીસે કુખ્યાત દીવલા ડોન અને તેના સાગરીત બંનેની ધરપકડ કરી લઈ દિવલાને જેલ હવાલે કરી દીધો છે, જયારે આ પ્રકરણમાં એક વકીલની પણ સંડોવણી ખુલી હોવાથી તેની પણ સુલેહ ભંગના ભાગરૂપે અટકાયત કરી લઈ પોલીસ લોકઅપમાં રખાયા હતા. જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરાયા બાદ ત્રણ આરોપી સામે કાનુની કાર્યવાહી થઈ છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલા, કે જેનું મકાન ખાલી કરાવવા માટે મહિલાના પાડોશમાં જ રહેતા નિર્મળસિંહ નામના વકીલ દ્વારા દીવલા ડોન અને તેના સાગરીતની મદદ લેવામાં આવી હતી. જે બંને આરોપીઓએ મહિલાના મકાનમાં ઘૂસી જઇ તોડફોડ કરી નાખી હતી, અને વકીલના કહેવાથી પોતે મકાન ખાલી કરાવવા આવ્યા છે, અને ધાકધમકી આપી મકાન ખાલી કરાવવા દબાણ કર્યું હતું. અને રૂપિયા 50 હજારની ખંડણી પણ માગી હતી.

જે અંગેનો એક ગુનો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો, જે મામલે દીવલા ડોન ઉપરાંત તેના સાગરીત બલભદ્રસિંહ જાડેજા અને એક વકીલ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. જે પ્રકરણની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ સૌપ્રથમ દીવલા ડોનની અટકાયત કરી લઈ, તેને જેલ હવાલે કરી દેવાયો છે, એને હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. ત્યારબાદ આ પ્રકરણમાં તપાસ દરમિયાન તેના સાગરીત બલભદ્રસિંહ જાડેજા કે જેની પણ પોલીસે અટક કરી લીધી હતી, અને તેની સામે પણ કાનૂની કાર્યવાહી કરી લેવામાં આવી હતી.

 જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ અને શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલા તેમજ સી.ટી બી. ડિવિઝનના પીઆઈ પી.પી.ઝા અને તેઓને ટીમ તેમજ હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ. જે.પી.સોઢા દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને એક એડવોકેટની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. 

દીવલા ડોને એક રીક્ષા ચાલકનો મોબાઇલ ફોન આંચકી લીધો હતો, અને તે મોબાઇલ ફોનમાંથી વકીલ સાથે ધમકી ભર્યા સંવાદ સાથે વાતચીત કરી હતી, અને તે ઓડિયો ક્લિપ પોલીસને હાથ લાગી હોવાથી જેના આધારે પીએસઆઇ જે.પી.સોઢાએ એડવોકેટ નિર્મલસિંહ ઉર્ફે એન.એન.વકીલ સામે અટકાયાથી પગલાં લેવામાં આવ્યા હતા. જોકે તેઓને નોટિસ પાઠવી દેવાઈ હતી. પરંતુ સુલેહ શાંતિના ભંગના સ્વરૂપે પોલીસે એડવોકેટ નિર્મળસિંહ નીઅટકાયત કરી લીધી હતી. જેને પણ પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને નોટિસ આપી મુક્ત કરી દેવામાં આવ્યા છે. આમ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહી કરી લેવામાં આવી છે. નજીકના દિવસોમાં જ આ પ્રકરણનું ચાર્જશીટ તૈયાર કરીને અદાલત સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.