Get The App

રાજકોટમાં રૂપાણીના ચાહકોમાં ઘેરો શોક, પડોશીઓ રડી પડયા

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં રૂપાણીના ચાહકોમાં ઘેરો શોક, પડોશીઓ રડી પડયા 1 - image


પ્રકાશ સોસાયટી વિસ્તારમાં ગમગીનીનો માહૌલ

પૂર્વ મુખ્યમંત્રીના ઘર નજીક લોકોએ મંત્રજાપ, પ્રાર્થના કરી, અનેક આગેવાનો, મિત્રો અમદાવાદ જવા રવાના

રાજકોટ: રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના નિવાસસ્થાને મુલાકાત લેતા ત્યાં વિમાન અકસ્માતના અહેવાલો વાયુવેગે પ્રસરતા પડોશીઓ, શુભેચ્છકો, ભાજપના નેતાઓ ઉમટી પડયા હતા અને પડોશી મહિલાઓ રડી પડી હતી. સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આગેવાનો તેમજ લોકોએ પૂર્વ મુખ્યમંત્રીના ઘર પાસે આવેલા મંદિરમાં મંત્રજાપ, પ્રાર્થના કરી હતી. જ્યાં વર્ષોથી નાગરિકોથી માંડીને નેતાઓની સતત અવરજવર રહી છે તે સમગ્ર વિસ્તારમાં ઉદાસી છવાયેલી નજરે પડી હતી. 

પ્લેન ક્રેશના સમાચાર મળતા રૂપાણી પરિવાર સાથે જોડાયેલા આગેવાનો, મિત્રો ,ભાજપના નેતાઓ અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. 

રાજકોટમાં રૂપાણીના ચાહકોમાં ઘેરો શોક, પડોશીઓ રડી પડયા 2 - image

- વિજયભાઈની કારનો નંબર ૧૨૦૬,પ્લેન ક્રેશ તા.૧૨.૦૬

રાજકોટ: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈની મોટરકાર તેમજ ટુ વ્હીલરનો નંબર પણ ૧૨૦૬ પસંદ કરાયો હતો. એવૂું કહેવાય છે કે આ ૧૨૦૬ નંબર તેમનો પ્રિય હતો અને તેમના વાહનોના નંબર આ હતા તેમજ આજે પણ તેમણે તા.૧૨.૦૬ તારીખે લંડન જવા પ્રવાસ શરુ કર્યો હતો જે વિમાન ક્રેશ થયું છે. આ કેવો સંજોગ! 

રૂપાણી 11-30 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા,પ્લેન 28 મિનિટ મોડુ હતું

રાજકોટ: વિજયભાઈની એર ટિકીટની વિગતો મૂજબ તેમની ટિકીટ રૂપાણી વિજય રમણિકભાઈ નામથી બૂક થઈ હતી. બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનરની એર ઈન્ડિયાની ફ્લાઈન નં.એઆઈ ૧૭૧નો તા.૧૨-૬-૨૦૨૫ના બપોરે ૧-૧૦ વાગ્યાના ડિપાર્ચર ટાઈમ  હતો જે ફ્લાઈટ ૨૮ મિનિટ મોડી હતી. સાંજે ૬-૧૪ વાગ્યે તે લંડન પહોંચવાની હતી. વિજયભાઈ સવારે ૧૧-૩૦ વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા અને ચેકઈન કરીને ૧૨-૩૦ વાગ્યે બોર્ડીંગ કરાવ્યું હતું. તેઓ સીટ નં.૨-ડી પર બેઠા હતા.

રાજકોટમાં રૂપાણીના ચાહકોમાં ઘેરો શોક, પડોશીઓ રડી પડયા 3 - image

રૂપાણીની બે અંતિમ તસ્વીરો વાયરલ થઈ

રાજકોટ: વિજયભાઈ જે વિમાનમાં પ્રવાસ કરતા હતા તે તુટી પડયાની દુર્ઘટના બાદ સોશ્યલ મિડીયામાં એક અન્ય વ્યક્તિએ લીધેલી સેલ્ફીમાં તેઓ સીટ પર બેઠેલા દેખાતા હોય તેવી તસ્વીર તેમજ અમદાવાદ એરપોર્ટ પર તેઓ અંદર જતા હોય તેનો વિડીયો આજે વાયરલ થયા હતા. 

રાજકોટમાં રૂપાણીના ઘરનું થોડા સમય પહેલા રિનોવેશન

રાજકોટ: રાજકોટના નિર્મલા રોડ પર સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર પાસે પ્રકાશ સોસાયટી શેરી નં.૪માં માં વિજય રૂપાણીનું નિવાસસ્થાન આવેલું છે. જેનું નામ તેમના સદ્દગત પુત્ર પુજીત પરથી રાખવામાં આવેલ છે. વર્ષો જુના આ નિવાસસ્થાનને તાજેતરમાં જ રિનોવેશન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ રાજકોટમાં હોય ત્યારે આ ઘરે જ તેઓ સપરિવાર રહેતા હતા.


Tags :