Gujarat

ઈજનેર વિભાગની કાર્ય પધ્ધતિનુ વિકેન્દ્રીકરણ, એડીશનલ સિટી ઈજનેર સહીત ૬૦થી વધુ નવી જગ્યા ખોલાશે

By GS TEAM
7 Aug 20251 min read
ઈજનેર વિભાગની કાર્ય પધ્ધતિનુ વિકેન્દ્રીકરણ, એડીશનલ સિટી ઈજનેર સહીત ૬૦થી વધુ નવી જગ્યા ખોલાશે

  અમદાવાદ,ગુરુવાર,8 ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિ.હદમા નવા વિસ્તારો સમાવાયા પછી કોર્પોરેશનમાં ઈજનેર વિભાગની કાર્યપધ્ધતિનુ વિકેન્દ્રીકરણ કરવા નિર્ણય લેવાયો છે. ઝોન કક્ષાએ એડીશનલ સિટી ઈજનેરથી લઈ ટેકનીકલ સુપરવાઈઝર સહીત ૬૦થી વધુ નવી જગ્યા ખોલાશે.રાજય સરકારની મંજુરી પછી ભરતી પ્રક્રીયા શરુ કરવા દરખાસ્ત મંજુર કરાઈ છે.ઝોન કક્ષાએ રોડ અને બિલ્ડિંગની કામગીરી તથા પાણી અને ડ્રેનેજની કામગીરી બે અલગ અલગ એડીશનલ સિટી ઈજનેર સંભાળશે.

શહેરનો વિસ્તાર વધીને ૪૮૦.૮૮ ચોરસ કિલોમીટર થયો છે. સતત થતા વિકાસ અને વધતી વસતીને ધ્યાનમા રાખીને લોકોને રોડ,ગટર,પાણી સહીતની અન્ય પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી મળી રહે તે માટે સાત એડીશનલ સિટી ઈજનેર, સાત ડેપ્યુટી સિટી ઈજનેર, સાત આસિસ્ટન્ટ સિટી ઈજનેર તથા ૧૪ આસિસ્ટન્ટ સિટી ઈજનેર તથા ૨૮ ટેકનિકલ સુપરવાઈઝરની ભરતી કરવા સ્ટેન્ડિંગ કમિટીમા તાકીદની દરખાાસ્ત મંજુર કરાઈ હતી.ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,જે નવી ભરતી કરવામા આવશે તેમાં ૬૭ ટકા કોર્પોરેશનમાંથી અને ૩૩ ટકા બહારના ઉમેદવારોને નિમણૂંક આપવામા આવશે.

એક હજાર કરોડના ખર્ચે પાણી-ગટરની જુની લાઈનો બદલાશે

        અમદાવાદમા હાલમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વર્ષો જુની આવેલી પાણી અને ડ્રેનેજની ૪૧ કિલોમીટર લંબાઈની લાઈનો  રીહેબ કરવાની કામગીરી ચાલી રહી છે.વર્ષ-૨૦૨૪-૨૫મા ૨૦ કિલોમીટર લંબાઈની લાઈનો રીહેબ કરવાની કામગીરી પુરી કરાઈ છે.૧૩ કિલોમીટરની લાઈનો રીહેબ કરવાની કામગીરી માટેના ટેન્ડર પ્રક્રીયા હેઠળ છે.વર્ષ-૨૦૨૫-૨૬માં  રુપિયા એક હજાર કરોડના ખર્ચે  અંદાજે ૫૦ કિલોમીટરમા આવેલી પાણી અને ડ્રેનેજની લાઈન રીહેબ કરાશે.