વડોદરા કોર્પોરેશનની જન્મ, મરણ નોંધણી શાખાની કેટલીક કામગીરીનું વિકેન્દ્રીકરણ
- સરકારી કે ખાનગી હોસ્પિટલ જન્મ મરણના બનાવોની ઈ ઓળખ પર ઓનલાઈન એન્ટ્રી કરાવવી પડશે
વડોદરા, તા. 23 માર્ચ 2021 મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતા હસ્તકની જન્મ મરણ નોંધણી શાખાની કેટલીક કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. વિકેન્દ્રીકરણના ભાગરૂપે અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં તમામ સરકારી, બિન સરકારી, ખાનગી, એલોપેથિક તેમજ આયુષ હોસ્પિટલ અને ક્લિનિક ખાતે જન્મ અને મરણ તથા મૃત જન્મના બનાવોને હોસ્પિટલ અને ક્લિનિક દ્વારા વેબ આધારિત એપ્લિકેશન ઈ ઓળખ એટલે કે ગુજરાત સિવિલ રજીસ્ટ્રેશન સીસ્ટમ ઉપર નોંધવાના રહેશે.
14 દિવસમાં જન્મ અને મરણના બનાવની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે. ઘરે જન્મ કે મરણનો બનાવ બને તો ડોક્ટરે તેઓના રહેઠાણની નજીક આવેલી અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતેથી યુઝરનેમ અને પાસવર્ડ મેળવી ઓનલાઇન નોંધણી કરાવવી પડશે.
જન્મ અને મરણનું ઓરિજનલ સર્ટીફીકેટ તથા બે પ્રમાણિત નકલ એટલે કે કુલ ત્રણ નકલ અરજીકર્તાના ઘરે સ્પીડ પોસ્ટથી મોકલી અપાશે. જન્મ અને મરણ નોંધણીની પ્રમાણિત નકલ નજીકના અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી સોમવાર, બુધવાર અને શુક્રવારે બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી મળી શકશે.
આ દિવસો સિવાય નકલો જન્મ મરણ નોંધણી શાખા, સરદાર પટેલ બિલ્ડીંગ, કેવડા બાગ સામે ,નવાપુરા થી 11 થી ચાર સુધીમાં અર્જન્ટ નકલ ફી ભરી મેળવી શકાશે. વર્ષ 2020 અગાઉ જન્મેલા બાળકોના જન્મ સર્ટિફિકેટમાં નામ નોંધ, સુધારા-વધારા, નો રેકોર્ડ મેળવવા આજે ઓફિસે સવારે 10:30 થી બપોરે 3:30 સુધી સંપર્ક કરવા જણાવાયું છે.