વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત
- 6 શખ્સોની નજીવી બાબતે બોલાચાલી બાદ માર મારતા આધેડ બેભાન હાલતમાં અચાનક ઢળી પડયા
- મૃતદેહને પીએમ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો : રિપોર્ટ બાદ કારણ બહાર આવશે એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાની સ્થળ પર પહોંચી વધુ તપાસ
વઢવાણ તાલુકાના રામપરા-નવાણીયા ગામ વચ્ચે આવેલ સીમમાં ઢોર ચરાવવા બાબતે આધેડ ખેડુત ઘનશ્યામભાઈ દલાભાઈ ખેર સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં મામલો ઉગ્ર બનતા મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ બાદ ઘનશ્યામભાઈ ત્યાં ઢળી પડયા હતા અને બેભાન થઈ ગયા હતા જેની જાણ આસપાસના ખેડુતો સહિત પરિવારજનોને થતાં તેઓને જોરાવરનગર ખાતે આવેલ સવા હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરને ઘનશ્યામભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં જોરાવરનગર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તેમજ એલસીબી, એસઓજી ટીમ હોસ્પીટલ ખાતે આવી પહોંચી હતી અને ભોગ બનનારનું પ્રાથમિક પંચનામું કરવામાં આવ્યું હતું જે પંચનામામાં મૃતકના શરીર પર કોઈપણ જાતના ઈજા કે અન્ય કોઈ નિશાન મળી આવ્યા નહોતા આથી મૃતકના મૃતદેહને પીએમ અર્થે શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ફોરેન્સીક પીએમનો અભિપ્રાય આપતા મૃતકના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે આધેડ ખેડુતનું શંકાસ્પદ હાલતમાં મારામારી બાદ મોત નીપજતા હત્યા સહિતની ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ આધેડના મોતનું સાચુ કારણ ફોરેન્સીક પીએમના રીપોર્ટ બાદ જ બહાર આવશે જ્યારે આ બનાવથી મૃતકના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી તેમજ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા મારામારી કરી નાસી છુટેલ તમામ ૬ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથધરી છે.
આધેડના શંકાસ્પદ મોત મામલે પુત્રએ ફરિયાદ નોંધાવી
જ્યારે આ સમગ્ર બનાવ અંગે જોરાવરનગર પોલીસ મથકે મૃતકના પુત્ર વિજયભાઈ ઘનશ્યામભાઈ ખેર રહે.રામપરાવાળાએ ૬ શખ્સો (૧) હરવિજયસિંહ ઈન્દુભા પરમાર (૨) હરવિજયસિંહના પિતા ઈન્દુભા પરમાર બન્ને રહે.નવાણીયા તા.મુળીવાળા તથા (૩) અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ફરિયાદી અને તેમના પિતા ધનશ્યામભાઈ ખેર બન્ને તેઓની રામપરા ગામની સીમમાં નવાણીયા ગામના રસ્તે આવેલ ખેતરે કામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન હરવિજયસિંહ પરમારે ફરિયાદી અને તેમના પિતાને ગાય બાબતે પુછતા બન્નેએ ખબર નહિં હોવાનું જણાવતા બોલાચાલી કરી ગાળો આપી હતી અને ફરિયાદીના પિતા સાથે ઝપાઝપી કરી કપાળે તેમજ નાકના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ હરવિજયસિંહ અને તેમના પિતા ઈન્દુભા તથા અન્ય ચાર અજાણ્યા શખ્સોએ એકસંપ થઈ હાથમાં સોરીયા જેવા હથિયારો વડે ગાળો બોલી ફરિયાદીના પિતા સાથે ઝઘડો કરી છાતીના ભાગે ઢીકાઓ મારી ગાળો આપતા ફરિયાદીના પિતાનું મોત નીપજ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે જેને આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.