Gujarat

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો

By GS TEAM
19 Jun 20262 mins read
TukuTouch Logo
જાતિ અંગે અપમાનજનક ટિપ્પણી કરી મારકૂટ, લોખંડના તાવીથા અને કુહાડી વડે હુમલાનો આક્ષેપ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો

Jamnagar Crime : જામનગર તાલુકાના જામવણથલી ગામના એક યુવક પર રસ્તામાં રોકી જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે પંચકોશી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ જામવણથલી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા પરેશભાઈ ભુરાભાઈ પરમાર (ઉ.વ. 37) તા.18 જૂનના રોજ બપોરે પોતાના સાથી રવિ જંતીભાઈ સાથે અલીયાબાળા ગામેથી મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ચાવડા ગામથી જામવણથલી તરફ જતાં માર્ગ પર પારસ દિનેશભાઈ સોલંકી તેમને મળ્યો હતો. ફરિયાદ મુજબ પારસ સોલંકીએ ફરિયાદીને કહ્યું હતું કે, "તારા બાપાએ અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે" અને ત્યારબાદ જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે ફરિયાદી પર ઢીકા-પાટુનો માર પણ માર્યો હતો.

ફરિયાદીએ પ્રતિકાર કરતા આરોપી પારસ સોલંકીએ ફોન કરી અન્ય બે અજાણ્યા શખ્સોને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોમાંથી એકે પોતાની પાસે રહેલા લોખંડના હાથાવાળા ધારદાર તાવીથાથી ફરિયાદીના માથામાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે બીજા શખ્સે કુહાડીના ઉંધા ભાગ વડે બંને પગમાં માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એકબીજાની મદદગારીથી હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ બનાવ અંગે પંચકોશી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પારસ દિનેશભાઈ સોલંકી તથા બે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 118(1), 115(2), 351(3), 54, અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(1), 3(2)(5) તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.