વડોદરામાં EWS આવાસ યોજના: ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવીને 19 જૂન કરાઈ
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટેના મકાનો મેળવવા માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત 19 જૂન સુધી લંબાવવામાં આવી છે. સેવાસી, ભાયલી અને બિલ ગામ ખાતે તૈયાર થઈ રહેલા આ મકાનો માટે નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, જેને કારણે અગાઉ પણ 20 દિવસની મુદત વધારવામાં આવી હતી. હવે 19 જૂનની સાંજ સુધી લોકો ફોર્મ ભરી શકશે અને જરૂરી દસ્તાવેજો VMCની વેબસાઈટ પર અપલોડ કરી શકશે.
યોજના અંતર્ગત મકાનોની વિગતો
EWS-2 પ્રકારના 965 મકાનો ઉપલબ્ધ છે, જે 40 ચોરસ મીટરના વન બીએચકે (1 BHK) ફ્લેટ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS કેટેગરીના કુલ 6,282 આવાસો બનાવવા માટેના ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) ને સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે.
વડોદરા શહેરમાં થયેલી અને ચાલી રહેલી કામગીરી
શહેરમાં અત્યાર સુધીમાં હરણી ખાતે 458, ગોત્રીમાં 353 (અને અન્ય સ્થળે 154), સયાજીપુરામાં 308, તથા સુભાનપુરામાં 74 મળીને કુલ 1,347 મકાનોનું નિર્માણ 99.97 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલમાં અટલાદરા, કલાલી, ભાયલી, બિલ, સેવાસી, સંજયનગર, વારસિયા, દંતેશ્વર અને મધુનગર ખાતે 283 કરોડ રૂપિયાના ખર્ચે 3,938 આવાસોનું બાંધકામ પ્રગતિમાં છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરી ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસ પૂરા પાડવાનો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરમાં 75,171 મકાનો તૈયાર કરવામાં આવ્યા છે.