Surat : સુરત પાલિકામાં આવેલા સણીયા હેમાદ તળાવમાં મરેલી માછલીઓ મળવાનો સિલસિલો બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. સતત માછલીઓ મરેલી મળતા લોકોમાં ભયનો માહોલ છે અને સ્થાનિકોએ ઔદ્યોગિક એકમોમાં ન્યુસન્સને પગલે આ પ્રકારની ઘટના થઈ રહી હોવાનો આક્ષેપ છે અને જવાબદારો સામે પગલાં ભરવા માટેની માગણી થઈ રહી છે.
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ વરાછા ઝોનમાં સમાવિષ્ટ સણીયા હેમાદમાં ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ સામે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ વચ્ચે ગઈકાલે મંગળવારે સણીયા હેમાદ તળાવમાંથી મોટા પ્રમાણમાં મરેલી માછલીઓ મળી આવી હતી અને લોકોએ પાલિકા અને જીપીસીબીને ફરિયાદ કરી હતી.
ત્યારબાદ આજે બુધવારે સતત બીજા દિવસે પણ આ તળાવમાંથી મોટા પ્રમાણમાં મરેલી માછલીઓ બહાર આવી હતી જેથી લોકો ભેગા થઈ ગયા હતા. સતત બીજા દિવસે માછલી મરેલી મળી આવતા લોકો પાલિકા અને જીપીસીબીની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે અનેક ફરિયાદ બાદ પણ સણિયા-હેમાદ વિસ્તારમાં ધરાર ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોના કારણે આ ઘટના બની રહી છે.
લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે, તળાવથી થોડા અંતરેથી પસાર થતી કેનાલમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા તળાવના પાણીની ગુણવત્તા બગડી રહી છે અને તેના કારણે માછલીઓ મરી રહી છે. પાલિકા અને જીપીસીબીની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવીને જવાબદાર સામે પગલાં ભરવા માંગણી થઈ રહી છે.


