'છોટી કાશી'માં ગઈ કાલે રાત્રે દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં અનેક મૂર્તિઓનો તળાવની પાળે વિસર્જન કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક ધર્મોત્સવ ઉજવાતા રહે છે, જે પૈકી દશામાના વ્રતની પણ અનેક પરિવારો દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગર શહેરના અનેક બહેનોએ ગઈકાલે રાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. જામનગરના પાછલા તળાવની પાળે મહાનગરપાલિકા દ્વારા વિશેષ પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને ત્યાં સોલીડ વેસ્ટ વિભાગની ટુકડી પણ તૈયાર રહી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરીમાં રાજભા જાડેજા અને તેઓની સમગ્ર ટીમ ગઈકાલે રાત્રે 12.00 વાગ્યાથી આજે વહેલી સવારે 9.00 વાગ્યા સુધી ખડે પગે રહી હતી, અને ચાર ટ્રેક્ટરો સાથે 20 જેટલા કર્મચારીઓ જોડાયા હતા.
અંદાજે નાની મોટી 1800 જેટલી દશામાની મૂર્તિઓ વિસર્જિત કરવા માટે આવી હતી, તે તમામ મૂર્તિઓને અલગ અલગ ચાર ટ્રેક્ટરમાં ભરીને તેની સાથે સાથે ચુંદડી, શ્રીફળ થતાં અન્ય પૂજાની સામગ્રી વગેરે તમામ એકત્ર કરી લેવામાં આવી હતી, અને સૌ પ્રથમ તળાવની પાળના વિસ્તારને વહેલી સવારે સંપૂર્ણપણે સાફ સુથરો બનાવી દેવાયો હતો. ત્યારબાદ ચારેય ટ્રેક્ટરને જામનગરના બેડીબંદર રોડ પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક દરિયાઈ ખાડીમાં વિશેષ ખાડો બનાવ્યો બનાવ્યો હતો, જેમાં તમામ મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી વગેરેને મૂકીને વિસર્જિત કરી દેવામાં આવી હતી.








