દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય તરીકે દંડીસ્વામીની નિયુક્તિ કરાઈ
સદાનંદ સરસ્વતી મહારાજ શંકરાચાર્ય તરીકે નિયુક્ત : બ્રહ્મકાલીન પૂ.જગદગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીને દેશભરમાંથી શ્રદ્ધાસુમન અર્પણ ઃ નવા શંકરાચાર્યની ઘોષણા
દ્વારકા,: આજ રોજ અહીં શારદાપીઠ દ્વારકામાં બ્રહ્મકાલીન પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતિને શ્રદ્ધાંજલિ આપવા માટે સભા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સમાજનાં આગેવાનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ સભામાં બ્રહ્મલીન પુ. જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના ઈચ્છાપત્રનું વાંચન નિજી સચિવ શ્રી સુબુદ્ધાનંદજી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જ્યોતિષપીઠ બદ્રીનાથના શંકરાચાર્ય તરીકે સ્વામી શ્રી અવિમુક્તેશ્ચરાનંદજી તથા દ્વારકા શારદાપીઠાધીશ્ચર શંકરાચાર્ય તરીકે દંડી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની શંકરાચાર્ય તરીકેની ઘોષણા કરી નિયુક્તિ કરવામાં આવી હતી. આ સભામાં સંતો, મહંતો, રાજકીય નેતાઓ તથા સમગ્ર સનાતનધર્માનુરાગીઓ આ ઈચ્છાપત્રને સમર્થન આપી સહર્ષ સ્વીકાર્ય કર્યો હતો. તથા દેશભરમાં યોજાયેલી સેંકડો શ્રદ્ધાંજલિ સભામાં આ ઘોષણાને સહર્ષ અનુમોદન આપવામાં આવ્યું હતું.