વાવાઝોડાની આગાહી: ગુજરાત-મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, બંગાળની ખાડીમાં સર્જાશે ચક્રવાત
Updated: May 19th, 2024
Weather In Gujarat: ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવવામાં આવી છે. જેની ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્ર પર પણ અસર થશે. 22મી મેના રોજ લો પ્રેશર, જ્યારે 24મી મેના રોજ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે, જે વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22મી મેના આસપાસ લો પ્રેસર સર્જાવાની અને તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે અને 24મી દરમિયાન બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના આરંભ પહેલા પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે, ત્યારે જો આ વાવાઝોડુ શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27મી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાની આગાહી પણ કરી છે.
કમોસમી વરસાદને લઈ ખેડૂતોને થયું ભારે નુકસાન
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ કમોસમી વરસાદી કહેર વર્તવાનું શરૂ થયું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાકો બાજરો તલમાં પણ નુકસાની થયું છે. આ ઉપરાંત બાગાયતી ખેતીના પાકોમાં પણ ભારે નુકશાન થયું છે. કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને આંબા ઉપર લાગેલી કેરી પણ જમીન દોસ્ત થઈ હતી. વરસાદ સાથે પવનના લીધે ડાંગાવદર ગામમાં ઘણું નુકસાન થયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 24મી મેથી પાંચમી જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 17મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે.17થી 24મી મે વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે. આ ઉપરાંત ગુજરાતમાં સાતમીથી 10મી જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે 14મીથી 18મી જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.