બિપરજોય ગુજરાતના દરિયાકિનારે ત્રાટકનારું બીજુ તાકાતવર વાવાઝોડું, જાણો મહત્વની 5 વાતો
15 જૂનની બપોર સુધીમાં તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા વાવાઝોડા સામાન્ય રીતે ભારતીય કિનારા તરફ આવતા નથી
image : Pixabay |
બિપરજોય વાવાઝોડાંએ પોતાનો રુટ બદલી નાખ્યો છે. અરબી સમુદ્રમાંથી શરૂ થયેલું આ બીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. તેને પહેલેથી જ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન કહેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, તે 11 જૂનની સાંજ સુધીમાં મુંબઈથી 540 કિમી દૂર હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 12 જૂને થાણે, રાયગઢ, મુંબઈ અને પાલઘરમાં વરસાદની આગાહી કરતો અહેવાલ બહાર પાડ્યો હતો. 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ પહેલા 11 જૂનની સાંજે મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 12મી જૂને સવારે પણ મુંબઈમાં જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે એર ઈન્ડિયાએ ઘણી ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી. કેટલીક યાત્રાઓ પણ રદ કરવામાં આવી છે.
બિપરજોય તોફાન સંબંધિત 5 મોટી વાતો
1. બિપરજોય પૂર્વ તરફ વળ્યું
બિપરજોય વાવાઝોડું અગાઉ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું હતું. હવે તે પૂર્વ તરફ વળ્યું છે. અરબી સમુદ્રમાંથી ઉઠેલું આ વાવાઝોડું હવે ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે ટકરાશે. તે 15 જૂનની બપોર સુધીમાં ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકે તેવી સંભાવના છે. અગાઉ 11 જૂનના રોજ જારી કરાયેલા તોફાન બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે 14 જૂનની સવાર સુધીમાં તોફાન ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે. આ પછી વાવાઝોડું પોતાનો માર્ગ બદલીને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને 15 જૂનની બપોર સુધીમાં તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે.
2. અરબી સમુદ્રમાં ઉદ્દભવતા વાવાઝોડાંમાંથી એક ચતૃથાંસ કરતા પણ ઓછા તોફાન ભારત પહોંચે છે
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા વાવાઝોડા સામાન્ય રીતે ભારતીય કિનારા તરફ આવતા નથી. તેમાંથી મોટાભાગના લગભગ 75 ટકા ઉત્તર અથવા ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે. આવી સ્થિતિમાં તેઓ પાકિસ્તાન, ઈરાન અથવા ઓમાનના દરિયાકિનારા સાથે ટકરાય છે. તેમાંથી કેટલાક કિનારે અથડાતા નથી. તેઓ માત્ર સમુદ્રમાં જ રહે છે. 25 ટકાથી ઓછા તોફાનો ઉત્તરપૂર્વ તરફ આગળ વધે છે. આવી સ્થિતિમાં તેઓ ગુજરાતના દરિયાકાંઠા તરફ વળે છે. બિપરજોય તોફાન એવું જ એક તોફાન છે. અરબી સમુદ્રમાંથી ઉછળતા વાવાઝોડાના ચોથા ભાગથી પણ ઓછા ભારત તરફ આવે છે.
3. ગુજરાતમાં ટકરાય ત્યાં ત્યાં સુધી બિપરજોયની તાકાત ઘટી જશે
બિપરજોય વાવાઝોડાં મામલે એક રાહતની વાત છે. એવી અપેક્ષા છે કે તે 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે અથડાશે ત્યાં સુધીમાં તેની તાકાત ઘણી ઓછી થઈ જશે. તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાંથી પણ બહાર આવશે. તેની તીવ્રતા 11 જૂને સૌથી વધુ હતી. દરિયાકાંઠે ટકરાતા તેની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક હશે. જેના કારણે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
4. ભારે વરસાદની ચેતવણી
તાકાત ઓછી હોવા છતાં પણ તેના કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. IMDએ કહ્યું કે 15 જૂને વરસાદની તીવ્રતા ભારેથી ભારે વચ્ચે રહેશે. કચ્છ, દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.
IMDએ થાણે, મુંબઈ અને પાલઘરમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે ઉત્તર-પૂર્વ ભારતમાં પણ વરસાદની સંભાવના છે. આસામના સ્થાનિક હવામાન વિભાગે 11 અને 12 જૂને યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ઓરેન્જ એલર્ટ 13 થી 15 જૂન સુધી ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશ સિવાય ઉત્તર ભારતના લગભગ તમામ વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. માછીમારોને દરિયામાંથી પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 11 થી 14 જૂન દરમિયાન એલર્ટ પર રહેવા આદેશ કર્યો છે. 12 જૂનથી, સરકાર સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળો અને દરિયા કિનારે રહેતા લોકોના 'લો લાઇન' વિસ્તારોને ખાલી કરવાનું શરૂ કરશે. આમાં લગભગ 10 હજાર લોકોને અસર થવાની આશંકા છે. NDRFની 7 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે SDFની ટીમો પણ એલર્ટ પર છે. ગુજરાત સરકારના અલગ-અલગ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
5. રેલ્વે, માર્ગ પરિવહનમાં વિક્ષેપ પડવાનો ભય
સ્થાનિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, 2 થી 3 મીટરના તોફાની મોજાં ઉછળવાની આશંકા છે. કાચા-પાકા મકાનો અને રસ્તાઓને નુકસાન થઈ શકે છે. પાક નિષ્ફળ જવાની અને પૂર આવવાની સંભાવના છે. માર્ગ અકસ્માત અને રેલ્વે અકસ્માતની પણ સંભાવના છે.