Get The App

ગુજરાતમાં દોઢ લાખ લોકો સાથે સાયબર ઠગાઈ, તેમાં 45% સિનિયર સિટીઝન છેતરાયાનો ખુલાસો

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
Cyber Fraud Alert

Cyber Fraud Alert: ગુજરાતમાં ગત વર્ષે દોઢ લાખ લોકો સાયબર ઠગાઈનો ભોગ બન્યા, તેમાં અંદાજે 45 ટકા સિનિયર સિટીઝન હતાં. ગુજરાત સાથે જ દેશભરમાં વર્ષ 2020થી અત્યાર સુધીમાં સિનિયર સિટીઝનો સાથે સાયબર ઠગાઈના કિસ્સામાં 86 ટકા જેવો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સાયબર ઠગોના ટાર્ગેટ ઉપર ગુજરાત છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, સિનિયર સિટીઝન અને તેમના બેન્ક ખાતા કે પરિવાર અંગેની વિગતો ઠગ ટોળકીઓ સુધી કેવી રીતે પહોંચે છે? કમનસીબી એ છે કે, એકસલન્ટ સાયબર પોલીસ તેની તપાસ કરતી નથી.

ફેસબુક અને વોટ્સ-એપ પર શેર કરવામાં આવતી વિગતોનો દુરુપયોગ કરતા સાયબર ચાંચિયાઓ

સાયબર ક્રાઈમના વધતા ગુના સાથે સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરવાનું પ્રમાણ શા માટે વધી રહ્યું છે? તેવા સવાલ અંગે જાણકાર સાયબર નિષ્ણાતોનું અનુમાન છે કે, એકલવાયાપણું અનુભવવા સાથે જ સ્વતંત્રતા ઝંખતા સિનિયર સિટીઝનો નિશ્ચિત સમય વોટ્સ-એપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પસાર કરે છે. આવા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ, પ્રોફાઈલ અને સ્ટેટસથી શેર કરવામાં આવતી વિગતો સાયબર ચાંચિયાઓ મેળવી લે છે. ટ્રુ કોલર, અઢળક સોશિયલ મીડિયા, બેન્કો, ઓનલાઈન પેમેન્ટસ કે અન્ય ઓપન પ્લેટફોર્મ ઉપરથી સિનિયર સિટીઝનો અને તેમના પરિવારની અંગત વિગતો મેળવ્યા પછી સાયબર ક્રિમિનલ્સ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરે છે. 

અજાણ્યા નંબર પરથી આવતા કોલ કે મેસેજ બાબતે સાવધ રહેવા સૂચન

પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે, માહિતી ખરીદ-વેચાણના બેનંબરી ધંધામાં હજારો સિનિયર સિટીઝનને કોલ કરવાનો ગોરખધંધો સાયબર ફ્રોડ કરનારી ટોળકીઓ કરે છે. શરૂઆતના તબક્કે કરેલા ફોન કોલ કે એસ.એમ.એસનો રિસ્પોન્સ આપતાં અમુક સિનિયર સિટીઝનો સાયબર જાળમાં ફસાઈ જતાં હોય છે.

વર્ષ 2025ના મોટા કિસ્સા બાદ સુરક્ષા અને જાગૃતિ અંગે ઉઠતા સવાલો

સાયબર ઠગ ટોળકીઓ સિનિયર સિટીઝનોના બેન્ક એકાઉન્ટસ અને બચત અંગેની પ્રાથમિક વિગતો જાણી લઈને વાતચીત શરૂ કર્યાના થોડા જ સમયમાં ડર-ભય, લાગણી-લાલચ અને ઈમોશનલ બાબતોનું સંમિશ્રણ કરીને ડિજિટલ એરેસ્ટની સ્થિતિ સર્જે છે. વર્ષ 2025માં ગુજરાતના બે સિનિયર સિટીઝન મહિલાને ટાર્ગેટ કરી 30 કરોડની માતબર રકમ પડાવી લેવાયાના કિસ્સાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. 

આ પણ વાંચો: અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર

સાયબર ક્રાઈમ કે બોમ્બ થ્રેટ: પ્રજામાં ડર પણ નેતાઓનું મનોરંજન!

ગુજરાતમાં સાયબર ક્રાઈમનો આંકડો દોઢ લાખને વટાવી ગયો છે. ગુજરાત સરકાર અને ગૃહ ખાતા માટે આ વિક્રમજનક લક્ષ્યાંક સિદ્ધ કર્યો હોય તે માટે આનંદ વ્યક્ત કરવો કે ટીકા કરવા જેવી ઘટના છે? તે લોકમાનસને સમજાતું નથી. દોઢ લાખ લોકો સાથે સાયબર ક્રાઈમ થાય તેમાં 45 ટકા વૃદ્ધો હોય છતાં આ ઘટના ગૃહ ખાતે કે પોલીસ માટે ગંભીર ઘટના જ નથી. પ્રજાજનોને સલામતી પૂરી પાડવા ઉપરાંત તેનો અહેસાસ કરાવવો એ સરકાર અને પોલીસની જવાબદારી છે પણ, બોમ્બ થ્રેટના ઈ-મેલ આવતાં રહે અને પ્રજાજનોમાં ડર ફેલાય તેવો વણથંભ્યો ઘટનાક્રમ સરકાર માટે જાણે મનોરંજન છે. 

તંત્રની કામગીરી પર સવાલ

ધમકીભર્યા ઈ-મેલ ક્યાંથી થાય અને કોણ કરે છે તે પોલીસ અને સરકાર ધારે તો કલાકોમાં જ જાણીને આરોપીને શોધી શકે. પ્રજા, સ્કૂલો અને અદાલતોને ધમકી આપનારાંને પકડવામાં કચાશથી આખરે બોમ્બની ધમકી આપનારાંઓએ ગુજરાત વિધાનસભા માટે પણ ધમકીભર્યો ઈ-મેલ કરી નાંખ્યો. પોલીસ તો નેતાઓની સલામતી માટે જ હોય તેમ વર્તતી હોવાનું પ્રજા જાણે છે. આથી બોમ્બની ધમકી પછી ચેકીંગના વિધાનસભાની કામગીરી અટકી તે સમય દરમિયાન સલામત સ્થળે રહેલા નેતાઓમાં જાણે મનોરંજનનો માહોલ હતો. પ્રજાના ડરને મનોરંજન માનતી હોય તેવી સરકાર પાસે શું અપેક્ષા રાખવી તેવો સવાલ પણ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. મેરા ગુજરાત મહાન હૈ.

ચીટર્સ કયા સંજોગોમાં ફાવી જાય છે? તે જાણો

- સાયબર ચિટર્સની વાતથી ડર અનુભવી વિગતો આપો ત્યારે.

- બેન્ક ખાતાં બંધ થશે, પેન્શન કે ફંડ ફસાશે તેવો ડર અનુભવતા.

- લાલચમાં આવી જવાથી.

- ફરિયાદ નોંધાવતાં શરમ થવી.

- સરકારી તંત્ર, કર્મચારીને બદલે તેના નામે વાત કરનાર પર વિશ્વાસ.

- પરિવાર કે અંગત લોકો સાથે ઓછી વાત અને વિપદની સ્થિતિ શેર કરવામાં શરમ અનુભવવાથી.

આ પણ વાંચો: દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ

સોશિયલ મીડિયાની ઓછી જાણકારી, એકાંત, ચિંતા અને વિશ્વાસ: વૃદ્ધોને છેતરતાં મુખ્ય પરિબળો

- સોશિયલ મીડિયા: ટેક્નોલોજીનું અધૂરું જ્ઞાન અને ડિજિટલ વર્લ્ડની ઓછી જાણકારીને કારણે 45 ટકા વૃદ્ધો ભોગ બને છે.

- એકલવાયાપણું: ઓનલાઇન ઠગાઈના કિસ્સામાં સૌથી મોટું ન્યુરોલોજીકલ ફેક્ટર છે.

- ચિંતા, લોભ-લાભ: બાળકોના ભવિષ્ય અંગેની ચિંતા કે લોભની માયાજાળમાં વૃદ્ધો ફસાઈ જાય છે.

- વિશ્વાસ અને વિનમ્રતા: સાયબર ઠગ ભયની સાથે વિશ્વાસ અને વિનમ્રતાનું એવું મિશ્રણ કરે છે કે સિનિયર સિટીઝનો તેમની વાત માનવા લાગે છે.

સાયબર ઠગથી બચવા આટલી તકેદારી રાખો

- કોલ કે વીડિયો કોલ કે મેસેજમાં ઉતાવળ કરવાને બદલે સ્વસ્થ ચિત્તે નિર્ણય લેવો.

- ઓટીપી(OTP) કે પિન(PIN) ક્યારેય શેર ન કરવો.

- અજાણી લિન્ક ક્લિક કરવાનું ટાળવું.

- પાસવર્ડ મજબૂત અને ખાનગી રાખવો.

- સોશિયલ મીડિયા પર અંગત વિગતો જાહેર કરવાનું ટાળવું.

- સિનિયર સિટીઝનો અને તેમના બેન્ક ખાતાની વિગતો ઠગ ટોળકીઓ સુધી કઈ રીતે પહોંચે છે તે તપાસ થતી જ નથી એટલે પહેલી સલામતી તે જાતે ચેત્યા.

સાયબર પોલીસ માટે આંતરરાષ્ટ્રીય કૌભાંડો મોટો પડકાર

સાયબર ચિટીંગ રોકવા જનજાગૃતિ અને કાયદાકીય પગલાં લેવાઈ રહ્યાં છે પણ, ગુજરાત અને ભારતની એક્સલન્ટ સાયબર ડિટેક્ટીવ પોલીસ અને એજન્સીઓ સિનિયર સિટીઝનોની બેન્કો અને પરિવાર અંગેની અંગત વિગતો સાયબર ઠગ ટોળકીઓ સુધી કઈ રીતે પહોંચે છે તે અંગેની જાણકારી મેળવી શકી નથી. 'એક્સલન્ટ સાયબર પોલીસ જ્યાં સુધી સિનિયર સિટીઝનો સાથે સંવેદના અને ક્રિમિનલ્સ સાથે કડકાઈ દાખવશે નહીં ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરના આ ઠગાઈ કૌભાંડ ચાલતા રહેશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. એટલે એક જ કહેવત લાગુ પડે- ચેતતા નર-નારી સદા સુખી.

ગુજરાતમાં દોઢ લાખ લોકો સાથે સાયબર ઠગાઈ, તેમાં 45% સિનિયર સિટીઝન છેતરાયાનો ખુલાસો 2 - image