Gujarat

વડોદરામાં અટલાદરા બાદ સમા પોલીસ સ્ટેશને હલ્લાબોલ,દારૃના આરોપીને છોડાવવા ટોળાંએ ધાંધલ મચાવી

By GS TEAM
30 May 20262 mins read
વડોદરામાં અટલાદરા બાદ સમા પોલીસ સ્ટેશને હલ્લાબોલ,દારૃના આરોપીને છોડાવવા ટોળાંએ ધાંધલ મચાવી

વડોદરાઃ અટલાદરા પોલીસ સ્ટેશનમાં આરોપી અને સબંધીઓ દ્વારા પોલીસ પર થયેલા હુમલાના બનાવ  બાદ બીજા જ દિવસે સમા પોલીસ સ્ટેશનમાં દારૃ સાથે પકડાયેલા આરોપીને છોડાવવા માટે ટોળાંએ સમા પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ મચાવી તંગદિલી સર્જી હોવાનો વધુ એક બનાવ બનતાં પોલીસે ટોળાં સામે ગુનો નોંધ્યો છે.

સમા પોલીસે કહ્યું છે કે,સમાના સંજય નગર નજીક રણછોડનગર-૧ વિસ્તારમાં ગઇકાલે સાંજે પોલીસે એક ખંડેર પાસેથી નામચીન રમણ ઉર્ફે શિયાળ મઇજીભાઇ માળી ને દારૃના રૃ.૧૪હજારની કિંમતના ૩૨ ક્વાર્ટરિયા સાથે ઝડપી પાડી પોલીસ સ્ટેશને લવાયો હતો.

ડી સ્ટાફની રૃમમાં એએસઆઇ દિપક જબ્બારસિંગ રમણ માળીની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે તેણે પોલીસ સાથે ઉધ્ધત વર્તન કરી માર માર્યાના આક્ષેપો કર્યા હતા.જે દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર રમણ માળીના બે પુત્ર દિલીપ,મેહુલ ઉપરાંત ૧૫ થી ૨૦ જણા ધસી આવ્યા હતા અને હોહા મચાવી હતી.

રમણ માળીએ મીડિયાને બોલાવો..આ લોકો એમ સીધા નહિ થાય તેમ કહી ઉશ્કેરણી કરતાં ટોળાંએ આરોપીને છોડાવી જવા માટે બારી,બારણાંની ખેંચતાણ કરવા માંડી હતી અને કાચ પર હાથ પછાડવા માંડયા હતા.જેથી પોલીસે વધુ કાફલો બોલાવ્યો હતો.આ બનાવ અંગે સમા પોલીસે દિલીપ માળી,મેહુલ માળી,જગદીશ માળી,અમિત માળી સહિત ટોળાં સામે સરકારી ફરજમાં રૃકાવટ બદલ ગુનો નોંધ્યો છે.

રમણે પોલીસના  ટેબલ સાથે માથું પછાડી પોલીસ પર આક્ષેપ કર્યા

દારૃ સાથે પકડાયેલા રમણ માળીએ પોલીસ સ્ટેશનમાં જોરથી બંને હાથ પછાડયા હતા અને ત્યારબાદ કોમ્પ્યુટરના ટેબલના પાયા સાથે માથું પછાડતાં ઇજા થઇ હતી.ત્યાર  બાદ તેણે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરતાં બહાર ભેગા થયેલા લોકો ઉશ્કેરાયા હતા.

પહેલાં પણ પોલીસને ફટકારી ટોળું જુગારીયાને છોડાવી ગયું હતું, SMC પર પણ હુમલો થયો હતો

દારૃની હાટડીઓને કારણે ટ્રાફિક જામ થતો હોઇ કંટાળેલા લોકોએ કમિશનર કચેરીએ દેખાવો કર્યા હતા

સમા વિસ્તારમાં પોલીસ પર હુમલાના અગાઉ પણ બનાવો બન્યા છે.જ્યારે ખુલ્લેઆમ ચાલતી દારૃની હાટડીઓને કારણે થોડા સમય  પહેલાં જ સ્થાનિક લોકોએ પોલીસ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

સમા વિસ્તારમાં ઓગષ્ટ-૨૦૧૮માં જુગારધામ પર પોલીસે દરોડો પાડી ચાર જણાને પકડયા હતા.જ્યારે બાકીના ચાર ફરાર થઇ ગયા હતા.આ વખતે ટોળાંએ પોલીસને ઘેરી ઝપાઝપી કરી હતી અને બે જુગારીયાને છોડાવી ગયું હતું.આવી જ રીતે એપ્રિલ-૨૦૨૨માં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૃ પકડતાં ટોળાંએ પથ્થરમારો કરી હુમલો કરતાં ચાર પોલીસ કર્મી ઘવાયા હતા.

બીજીતરફ સંજય નગર તેમજ તેની આજુ  બાજુના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૃની હાટડીઓ ચાલતી હોવાને કારણે નવેમ્બર-૨૦૨૫માં સ્થાનિક રહીશોએ પોલીસ કમિશનર કચેરીએ ઉગ્ર દેખાવો કરી દારૃના ધંધાને કારણે ટ્રાફિકમાં અડચણ પડતી હોવાની અને લોકોને ભારે હેરાનગતિ થતી હોવાની રજૂઆત કરી હતી.