વિશ્વામિત્રી નદી બે કાંઠે થતાં મગરો નદી કિનારે આવ્યા : ભીમનાથ બ્રિજ નજીક લોકોના ટોળા
Vadodara : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અને દેવ ડેમમાંથી છોડાતા પાણીના કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે થતા નદીમાં વસવાટ કરતા મગરો ભીમનાથ બ્રિજ નજીક અને કિનારા પર વિચરતા જોવા માટે કુતુહલવશ લોકોના ટોળા બ્રિજ નજીક એકત્ર થયા હતા.
ઉલ્લેખનીય છે કે વડોદરાનું એક નામ મગર નગરી પણ પડી ગયું છે. પ્રતિ વર્ષના ચોમાસામાં વિશ્વામિત્રી નદી બે કાંઠે થતા અને શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા હોય છે પરિણામે નદીમાંથી મગર કેટલી વાર રોડ રસ્તા પર આવી જતા જણાયા છે. જ્યારે હાલમાં વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અને દેવ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે થઈ હતી.
પરિણામે વિશ્વામિત્રી નદીમાં કાયમ વસવાટ કરતા મગરો વિચરતા નદી કિનારાના કાંઠા પર આવી ગયા હતા. આવી રીતે કાંઠા પર વિચરતા અનેક મગર ભીમનાથ બ્રિજ નીચે જોવા મળ્યા હતા. પરિણામે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો પોતાના વાહન એક બાજુએ રોકીને મગરોને વિચારતા જોવા કુતુહલવશ એકત્ર થયા હતા. જોકે વધુ વરસાદ પડે અને શહેરમાં પાણી ભરાય ત્યારે પણ આ મગરો શહેરના રોડ રસ્તા પર અનેકવાર જોવા મળ્યાં ના પ્રતિ વર્ષ અનેક બનાવો બને છે. વિસ્તારમાં પણ મગર અનેકવાર ઘૂસી ગયાના પણ બનાવો ભૂતકાળમાં બન્યા છે.