Vadodara Visa Fraud : વડોદરામાં ડભોઈ રોડ પર સોમા તળાવ પાસે વુડાના મકાનમાં રહેતા શાકિબ ગુલામ મયુદ્દીન મનસુરીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે અજાર બેઝાન દેશમાં બાકુ શહેર ખાતે વિદેશ ટૂર પર જવાનું હોવાથી મેં નવાબ ટુરના માલિક હાસમીન નવાબનું સંપર્ક કર્યો હતો. તેમણે મારો પરિચય સમીર મુનિ સાથે કરાવ્યો હતો. સમીરે મને કહ્યું કે મારો મિત્ર અજયકુમાર નટવરલાલ શર્મા વિદેશ ટૂરનું કામ કરે છે. ત્યારબાદ તેણે અલમાસ એપાર્ટમેન્ટ ખાતે આવેલ નવાબ ટુરવાળાની ઓફિસ ખાતે મારી અજય શર્મા સાથે મુલાકાત કરાવી હતી. સમીર તથા અજય મને કહ્યું હતું કે વિદેશ જવું હોય તો અઢી લાખ રૂપિયા થશે.
ત્યારબાદ તેઓએ મને કમલાનગર દિવ્ય પ્લાઝા ખાતે આવેલી અજય કુમારની ઓફિસમાં બોલાવ્યો હતો. મારી પાસેથી પૈસા લઈ તેઓએ મને જણાવ્યું હતું કે તમે તમારો સામાન લઈને દિલ્હી જતાં રહો હું તમને ટિકિટ મોકલી આપીશ. જેથી હું દિલ્હી ગયો અને ત્રણ દિવસ રોકાયો હતો. પરંતુ અજય શર્માએ કોઈ ટિકિટ મોકલી ન હતી. ત્યારબાદ મેં અવારનવાર ઉઘરાણી કરતા એક મહિના પછી મને ટિકિટ મોકલી હતી. જેમાં 15 કિલોગ્રામ સામાન લખ્યો હતો અને મારે 25 કિલોગ્રામ સામાનની અજય શર્મા સાથે વાત થઈ હતી. જેથી આ ટિકિટ હોય કેન્સલ કરાવેલી ત્યારબાદ મેં તેમની પાસે મારા નીકળતા રૂપિયા પરત માંગતા આપ્યા ન હતા.


