Gujarat

પાંચમા માળેથી પટકાતા મેનેજરનું મોત મુદ્દે સેફ્ટી ઓફિસર સામે ગુનો નોંધાયો

By GS TEAM
12 Mar 20262 mins read
પાંચમા માળેથી પટકાતા મેનેજરનું મોત  મુદ્દે સેફ્ટી ઓફિસર સામે ગુનો નોંધાયો

ફિરોજપુરમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં સેફ્ટીમાં મોટી ચૂક

ગારબેઝ નિકાલની ખુલ્લી જગ્યાએ બેરીકેટિંગ ન હોવાથી પુત્રએ જીવ ગુમાવ્યોપિતાની ફરિયાદના આધારે પોલીસ તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરના ફિરોજપુર ગામની સીમમાં એક નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાના અભાવે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર પાંચમા માળેથી પટકાતા ૩૨ વર્ષીય યુવાનનું કરુણ મોત થયું હતું. આ મામલે મૃતકના પિતાએ પ્રોજેક્ટના સેફ્ટી ઓફિસર વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવી છે.

 મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ ગાંધીનગરમાં રહી ક્લિમાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સ્પેસિફિકેશન મેનેજર તરીકે ફરજ બજાવતો દેવપ્રકાશ શિવદુલાર શર્મા ગત ૩૦ જાન્યુઆરીના રોજ ફિરોજપુર ગામની શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર કામ અર્થે ગયો હતો. બપોરના તે બિલ્ડિંગના પાંચમા માળે કાંચ લગાડવા માટેના એન્કર ફાસનર ચેક કરી રહ્યો હતો તે સમયે ગારબેઝ નિકાલ માટે રાખવામાં આવેલી ખુલ્લી જગ્યા, જ્યાં ધાબું કે પ્રોપર બેરીકેટીંગ નહોતું, ત્યાંથી તે સીધા બીજા માળે પટકાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે વ્યવસાય વકીલ એવા મૃતકના પિતા શિવદુલાર શર્માએ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, સાઇટ પર સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતા દિનેશ શ્રીસ્વામીનાથ વર્માએ પોતાની જવાબદારીમાં બેદરકારી દાખવી હતી. જો ગારબેઝ નિકાલની એ જોખમી જગ્યાએ અગાઉથી જ બેરીકેટીંગ અથવા કોર્ડન કરવામાં આવ્યું હોત, તો આ અકસ્માત ટાળી શકાયો હોત. કંપનીના માણસો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે જે સમયે ઘટના બની ત્યારે ત્યાં કોઈ સુરક્ષા વાડ નહોતી.

ડભોડા પોલીસે એસ.એચ.સી પ્રોજેક્ટ પ્રા.લી.ના સેફ્ટી ઓફિસર દિનેશ વર્મા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.