સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર હજુ ફરાર
Surendranagar Crime: સુરેન્દ્રનગરમાં સાતમી ઓગસ્ટે કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા લખાવ્યું કે, તેમની પત્ની ઉપર પાંચ જેટલાં શખસોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી. હાલ આ મામલે પોલીસે એક શખસની અટકાયત કરી છે.
પોલીસે અન્ય આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યાં
મળતી માહિતી અનુસાર, પોલીસે ફરિયાદના આધારે હત્યા અને દુષ્કર્મની દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે બાતમીદારોની મદદથી પ્રકાશ પરમાર નામના યુવકની અટકાયત કરી છે. પોલીસે પ્રકાશને પકડીને આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે અન્ય સાગરિત ઝુમા ભદાણી હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશ પરમાર અને ઝુમા ભદાણી સહિત અન્ય 3 ઈસમો મળી કુલ પાંચ લોકો પરિણીતાને ધાબા પર લઈ જઈને તેના પર સામુહિક દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારી હતી. હાલ અન્ય આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યાં છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પતિ દ્વારા પાંચ લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. પતિનો આરોપ છે કે, 'એક વ્યક્તિ મારી પત્નીને ઉંચકીને કોમ્પ્લેક્ષના ધાબા પર લઈ ગયો હતો અને બાદમાં પાંચ જેટલાં લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.'
પોલીસ ફરિયાદીના આરોપના આધારે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. આ મામલે અત્યાર સુધીમાં પ્રકાશ પરમાર અને ઝુમા ભદાણી સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.