- નડિયાદ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
- ચાલક માનસિક ત્રાસથી મરવા જવાનું કહી ઘરેથી નીકળી જતા મિત્રો શોધખોળ કરીને પરત લાવ્યા
નડિયાદ : નડિયાદમાં રહેતા એક રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવી દેવાની અને પાસા કે તડીપાર કરાવવાની ધમકી આપીને એક શખ્સે રૂ. ૩૦,૦૦૦ની ખંડણી માગી હતી. સતત ધમકીઓથી ત્રસ્ત થઈ માનસિક આઘાતમાં સરી પડેલા રિક્ષાચાલક ગભરાઈને મરવા જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. જોકે, મિત્રો અને સબંધીઓએ મોડી સાંજે તેની શોધખોળ કરી સમજાવીને પરત લાવ્યા હતા. આ બનાવ અંગે રિક્ષા ચાલકના મિત્રએ ખંડણી માગનાર શખ્સ સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નડિયાદના શકર કુઈ વિસ્તારમાં રહેતા અબ્દુલસીદ અબ્દુલહફીઝ મલેકનો મિત્ર યાસીનભાઇ ઉર્ફે ખલી ઉસ્માનગની વ્હોરા (રહે. પરિવાર સોસાયટી) રિક્ષા ફેરવે છે. ગત તા. ૦૫/૧૨/૨૦૨૫ના રોજ યાસીનને તેમના મિત્ર ભાવેશભાઈ વાળંદે એક વીડિયો મોકલેલો, જેમાં અમદાવાદનો જયેશ ઠક્કર નામનો એક શખ્સ યાસીન ઉર્ફે ખલી નડિયાદમાં લાખોનો જુગાર રમાડતો હોવાનું જણાવી ધંધો બંધ કરી દેવા ધમકી આપતો હતો. તે જ દિવસે બપોરના સુમારે જયેશ ઠક્કરે યાસીન વ્હોરાને વોટ્સએપ કોલ કરીને ખોટા કેસ કે પાસા/તડીપારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. ૩૦,૦૦૦ની ખંડણી માગી હતી. યાસીને પોતે જુગાર ન રમાડતો હોવાનું જણાવતા, જયેશ ઠક્કરે પહેલા જુગાર રમતો હતો તેમ કહીને પણ પૈસા આપવા દબાણ કર્યું હતું. ત્યારબાદ તેણે ગુગલ પેનું સ્કેનર મોકલીને છેલ્લે રૂ. ૧૧,૦૦૦ આપી દેવાની ધમકી આપી. યાસીન માનસિક રીતે હેરાન થતાં તેણે મિત્ર અબ્દુલ રસીદને વાત કરી, અને અબ્દુલ રસીદે જયેશ ઠક્કરના ગુગલ પે સ્કેનર પર રૂ. ૧૧,૦૦૦ મોકલી આપ્યા હતા. તેમ છતાં જયેશ ઠક્કરના ત્રાસના કારણે યાસીન વહોરા મરવા જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. જોકે, મિત્રો તેને શોધીને પરત લાવ્યા હતા. આ મામલે અબ્દુલ રસીદ મલેકની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે જયેશ ઠક્કર (રહે. અમદાવાદ) સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


