Gujarat

લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો

By GS TEAM
7 Dec 20252 mins read
લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો

ભાવનગરના યુવક સાથે છેતરપિંડી 

સંબંધી ગુજરી ગયા હોવાનું બહાનું આપી સંપર્ક તોડયો પોલીસે યુવતી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી 

નડિયાદ: લગ્નની લાલચ આપી છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના યુવાનને લગ્નની લાલચ આપી કંજોડાના ચાર શખ્સોએ રૂ.૪૫,૦૦૦ની છેતરપિંડી આચરી છે. આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા નડિયાદ રૂરલ પોલીસે યુવતી સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

ભાવનગર કાલીયા બીટમાં રહેતા પરેશ શાંતિભાઈ હિંગુ (ઉં.વ.૩૪) દરજી કામ કરે છે. પરેશભાઈના કાકા અશોકભાઈ કલ્યાણસિંહ હિંગુ કપડવંજમાં રહે છે. અશોકભાઈને કોઈએ કહ્યું હતું કે, કંજોડામાં રહેતી યુવતીના લગ્ન કરવાના છે. જેથી તેમના ભત્રીજાને વાત કરતા પરેશભાઈ હિંગુ તેમના કાકાના ઘરે કપડવંજ આવ્યા હતા. જ્યાંથી તેઓ તા.૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજના રોજ કંજોડા ગામે ગયા હતા. ત્યારે ભગાભાઈ વાદીએ પ્રીતિબેન ઘનશ્યામભાઈ ચૌહાણ નામની યુવતીની મુલાકાત કરાવી હતી. ભગાભાઈએ આ યુવતી પ્રીતિબેન તેમની ભાણી છે અને પોતાની સાથે રહેતી હોવાનું જણાવ્યું હતું. આ યુવતીને યુવક પસંદ આવતા લગ્ન કરવાની હા પાડી હતી અને તા.૧૨ ડિસેમ્બર ૨૪ના રોજ લગ્ન કરવાનું નક્કી થયું હતું. 

ત્યારબાદ ભગાભાઈ વાદી તેમના પત્ની, ઇશ્વરભાઇ કેશવદાસ સાધુ અને પ્રીતિબેન યુવકના કાકાના ઘરે આવ્યા હતા. જ્યાં તેઓને લગ્ન કરાવી આપવા પૈસાની માગણી કરી ધીરે ધીરે રૂપિયા ૫૩ હજાર પડાવ્યા હતા. જેમાંથી રૂપિયા ૮ હજાર પરત આપી આપ્યા હતા. બાદ પ્રીતિબેન તેમજ ઈશ્વરભાઈ સાધુએ તેમના સંબંધી ગુજરી ગયા હોવાથી દોઢ મહિના પછી લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ બાદમાં લગ્ન ન કરાવ્યા હતા અને ફોન પણ બંધ આવતો હતો. આમ લગ્ન કરવાની લાલચ આપી લગ્ન ન કરાવી કંજોડાના ચાર શખ્સોએ ભાવનગરના યુવક સાથે છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે પરેશની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે પ્રિતીબેન ઘનશ્યામભાઈ ચૌહાણ, ભગાભાઈ વાદી, ભગાભાઈની પત્ની, ઈશ્વરભાઈ કેશવદાસ સાધુ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.