તમામ ખુલ્લા વાયરો અને જોખમી વીજ પોલનું સમારકામ કરવાની માંગ
મુંદરા તાલુકાના રતાડીયા ગામમાં મહેશ્વરી વાસ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી એક ગાયનું મૃત્યુ થતા પીજીવીસીએલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં વીજ પોલ ભીના થવા અને ખુલ્લા વાયરોને કારણે શોર્ટ સર્કિટ થવાથી આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયમાં વીજ કરંટથી મૃત્યુ પામેલી આ ત્રીજી ગાય છે, છતાં વીજ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.
આ ઘટના બાદ ગ્રામજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું પીજીવીસીએલ કોઈ માનવ જીવ ગુમાવ્યા બાદ જ જાગશે? શું વીજ બોર્ર્ડ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ગ્રામજનોની માંગ છે કે પીજીવીસીએલ તાત્કાલિક ધોરણે આ વિસ્તારના તમામ ખુલ્લા વાયરો અને જોખમી વીજ પોલનું સમારકામ કરે અને જરૂર જણાય ત્યાં નવા વીજ પોલ ઉભા કરે અને આવી 'થીગડાં' મારવાની પધ્ધતિ બંધ કરે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને અને નિર્દોષ પશુઓ કે મનુષ્યોનો જીવ જોખમમાં ન મુકાય.


