Gujarat

ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીર વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

By GS TEAM
5 Feb 20264 mins read
ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીર વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

વડોદરા : વર્ગ શિક્ષકે સામાન્ય ઠપકો આપતા તેની દાઝ રાખી સ્કુલમાં રજા પડાવવાના ઇરાદે ધો.૯માં અભ્યાસ કરતા ૧૪ વર્ષના નિર્દોષ વિદ્યાર્થીની છરીના ઘા મારી હત્યા કરનારા આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં આ ગુનાને સમાજ માટે ખતરનાક ગણાવ્યો હતો અને નોંધ્યું હતું કે, આવા ગંભીર કિસ્સામાં આરોપીની ઉંમરને કારણે તેને હળવાશ આપી શકાય નહીં.

આ બનાવ ૨૨ જૂન ૨૦૧૮ના રોજ વડોદરાની બરાનપુરા વિસ્તારની એક શાળામાં બન્યો હતો. બનાવના બે દિવસ પહેલા જ મરણજનાર દેવ તડવીએ શાળામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવ્યો હતો. આરોપી સગીર વિદ્યાર્થીને તેના વર્ગશિક્ષકે ઠપકો આપ્યો હતો, જેનો બદલો લેવા અને શાળામાં રજા પડી જાય તેવા વિચિત્ર ઇરાદા સાથે તેણે કોઈ પણ ઓળખાણ વગરના દેવ તડવી પરહુમલો કર્યો હતો. સગીર વિદ્યાર્થીએ દેવને બાથરૃમમાં લઈ જઈ માથા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા મારી તેની ઘાતકી હત્યા કરી હતી.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ પી.સી.પટેલે  દલીલ કરી હતી કે આ ગુનો અત્યંત ગંભીર અને પૂર્વ આયોજિત છે. આરોપીએ કોઈ પણ અંગત અદાવત વગર માત્ર પોતાના સ્વાર્થ માટે એક નિર્દોષની હત્યા કરી છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારની હળવાશ રાખવી જોઈએ નહીં. બીજી તરફ, બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે આરોપી નાની ઉંમરનો છે, ઘરનો એકમાત્ર કમાનાર છે અને હાલ નોકરી કરીને ગુજરાન ચલાવે છે, તેથી તેને ઓછી સજા કરવી જોઈએ.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે ચુકાદામાં નોંધ્યું હતુ કે જ્યારે કોઈ સગીર દ્વારા આટલો જઘન્ય અપરાધ કરવામાં આવે છે, ત્યારે તેની માનસિક ક્ષમતા અને ગુનાના પ્રકારને જોતા તેને સુધારાત્મક પગલાંના બદલે કડક સજા કરવી અનિવાર્ય બને છે. આ કેસમાં પૂર્વ તૈયારી અને ક્રતા સ્પષ્ટપણે દેખાઈ આવતી હોવાથી આરોપી પ્રત્યે કોઈ રહેમ દાખવી શકાય નહી. બનાવ સમયે આરોપીની ઉંમર ૧૬ વર્ષ અને ૭ માસની હતી અને તે પોતાના કૃત્યના પરિણામોથી સંપૂર્ણ વાકેફ હતો. ન્યાયાધીશે સગીર વિદ્યાર્થીને આઈપીસીની કલમ-૩૦૨ હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.ન્યાયાધીશે મૃતક વિદ્યાર્થીના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે દરખાસ્ત કરવાનો પણ આદેશ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, સગીર વયે હત્યા કરનારા આરોપીની ઉમર હાલ ૨૪ વર્ષથી વધુ છે.

કેસમાં ૨૦ સાક્ષી અને ૪૨ દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે કુલ ૨૦ મૌખિક સાક્ષીઓ તપાસ્યા હતા, જેમાં ફરિયાદી, શાળાના આચાર્ય, મેડિકલ ઓફિસર અને તપાસ અધિકારીનો સમાવેશ થાય છે. શાળાના ત્રણ વિદ્યાર્થીઓ કે જેમનાનિવેદનો કલમ ૧૬૪ હેઠળ લેવામાં આવ્યા હતા જે મહત્વના સાબિત થયા હતા. દસ્તાવેજી પુરાવા તરીકે પંચનામા, પીએમ રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજની હાર્ડ ડિસ્ક રજૂ કરવામાં આવી હતી. આરોપીએ લોહીવાળા કપડાં અને સેન્ડલ સંતાડયા હતા જે પણ પુરાવા તરીકે કબજે કરાયા હતા.

જુવેનાઇલ જસ્ટીસ બોર્ડે  સગીર સામે પુખ્ત  તરીકે કેસ ચલાવવા જણાવ્યું હતું

આ કેસમાં સૌથી નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડે આરોપીની માનસિક અને શારીરિક ક્ષમતાની તપાસ કરી તેને પુખ્ત ગણવાનો આદેશ કર્યો હતો. જે.જે. એક્ટની કલમ-૧૫ હેઠળ કરવામાં આવેલી પ્રાથમિક આકારણીમાં બોર્ડે નોંધ્યું હતું કે, આરોપી સગીર વિદ્યાર્થીની ઉંમર બનાવ સમયે ૧૬ વર્ષથી વધુ હતી. તેણે જે રીતે પૂર્વ આયોજિત કાવતરું ઘડી, તીક્ષ્ણ હથિયાર સાથે રાખીને અત્યંત ક્રતાપૂર્વક નિર્દોષ બાળકની હત્યા કરી, તે દર્શાવે છે કે તે પોતાના કૃત્યના ગંભીર પરિણામોથી સંપૂર્ણ વાકેફ હતો. તેની આ ગુનાહિત માનસિકતા અને ગુનાની ગંભીરતાને જોતા, બોર્ડે આ કેસને ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્ત વયના આરોપીની જેમ ચલાવવાનો નિર્ણય લીધો હતો.

ગત વર્ષે અમદાવાદની સ્કુલમાં  પણ સગીર વિદ્યાર્થીએ હત્યા કરી હતી

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કુલમાં તા.૧૯ ઓગસ્ટ  ૨૦૨૫ના રોજ  ધોરણ-૮ માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીએ ધોરણ-૧૦ ના વિદ્યાર્થીની   સ્કૂલના ગેટ પાસે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી હતી. તપાસમાં હત્યાનું કારણ બહાર આવ્યું હતુ કે, અગાઉ બંને વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય ધક્કા-મુક્કી બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાની અદાવત રાખીને સગીર આરોપીએ અન્ય સાથીઓ સાથે મળીને હુમલો કર્યો હતો.

પેટના ભાગે ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.આ બનાવના કારણે લોકોમાં એટલો ગુસ્સો ફેલાયો હતો કે, તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.આરોપી સગીરની ઇન્સ્ટાગ્રામ ચેટ પણ સામે આવી હતી જેમાં તેણે હત્યાની કબૂલાત કરી હતી. આ ઘટનાએ રાજ્યભરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

મને બચાવી લો, મારી જીંદગી બગડી ગઇ મને ખુબ જ પસ્તાવો છે

કોઇ પણ પ્રકારના કારણ વગર માત્ર સ્કુલમાં રજા પડાવવાના ઇરાદે નિર્દોષ વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરનારા આરોપીએ વાતચિતમાં જણાવ્યું હતું કે, તને ખબર નથી આ બનાવ કેવી રીતે બન્યો. જે બનાવ બન્યો તેનો મને ખુબ જ પસ્તાવો છે. મને જે સજા થઇ છે તેના લીધે મારી જીંદગી બગડી ગઇ છે મને બચાવી લો. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તે ચાર પાંચ વર્ષ જેલમાં રહ્યો છે અને જામીન પર છુટયા બાદ તે ઢોર પાર્ટીમાં  નોકરી કરતો નોકરી કરતો હતો. જ્યારે આરોપીના પિતાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે તેમને કંઇ ખબર જ નથી. વકીલે અમને કહ્યું છે કે, હવે હાઇકોર્ટમાં જવુ પડશે. અમે ખુબ જ ગરીબ છીએ અમને સરકાર તરફથી વકીલ મળ્યો છે.