કાકા સસરા ઉપર જીવલેણ હુમલા અંગેના કેસમાં મુખ્ય સૂત્રધાર બિલ્ડર ધવલ ઠક્કરની આગોતરા કોર્ટે ના મંજૂર કરી
આરોપીએ અન્ય આરોપીઓને ફરિયાદીને ઈજા કરવા અંગે પ્રોત્સાહન આપ્યું
પત્ની પિયર જતી રહેતા તેની અદાવતે કાકા સસરા સાથે ઝઘડો કરી તેમના ઉપર ગુંડા તત્વો દ્વારા હુમલા અંગેના કેસમાં પોલીસે અગાઉ એક સગીર સહિત 12 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર બિલ્ડર ધવલ દિપકકુમાર ઠક્કર (રહે- આમ્રકુંજ સોસાયટી, ઈલોરા પાર્ક તથા એસોસિએટ સોસાયટી, રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે, અકોટા)એ ધરપકડ ટાળવા કોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારતા ન્યાયાધીશએ નામંજૂર કરી છે.
આ અરજની 13માં એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બદ્રી કમલકુમાર દંસોદીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા બચાવ પક્ષની દલીલો હતી કે, અરજદાર / આરોપી ધવલ ઠક્કરે તેમની પત્ની સાથે મારઝૂડ કરી નથી તથા ફરિયાદીને કોઈ ઇજા પહોંચાડી નથી, તેઓ ગાડીમાં જ બેઠા હતા, અરજદારની કસ્ટોડીયલ ઇન્સ્ટાગ્રેશનની આવશ્યકતા રહેતી નથી. જ્યારે આરોપીની આગોતરા જામીન અરજ સામે તપાસ અધિકારીએ વાંધો ઉઠાવી સોંગદનામું રજૂ કર્યું હતું. ફરિયાદ પક્ષ તરફે એપીપીની દલીલો થઈ હતી કે, એફઆઇઆર જોતા અરજદાર આરોપીનો મુખ્ય રોલ છે, આ ગુનામાં કુલ 15 આરોપીઓ પૈકી 14 આરોપીઓને ફરિયાદી સાથે કોઈ દુશ્મનાવટ નથી, અન્ય આરોપીઓને લાવનાર વ્યક્તિ અરજદાર છે, ભોગ બનનારની ઓળખાણ કરાવનાર પણ અરજદાર છે તે સ્થળ પર હાજર હતા, ગુનાનું પૂર્વ આયોજિત કાવતરું તા. 26/05/2025ના રોજ ઘડ્યું હતું, અરજદારને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાથી કેસને નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ છે. બંને પક્ષોની દલીલો બાદ ન્યાયધીશએ નોંધ્યું હતુ કે, અરજદારની હાજરી બનાવ સ્થળે હોવાનું ફરિયાદ ઉપરથી પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે, ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ફરિયાદીને ઈજા કરવા અંગે પ્રોત્સાહન આપેલ હોવાનું જણાય આવે છે, અન્ય આરોપીઓના સગડ મેળવવા અરજદારની કસ્ટોડિયલ ઇસ્ટોગ્રેશન જરૂરી છે.