Get The App

ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ 1 - image

- ખેડૂતોના વિરોધ બાદ કોર્ટે મનાઈ હુકમ કર્યો

- પૂરતું વળતર ચુકવ્યા વગર ખેતરમાં કામ શરૂ કરતા ખેડૂતો કોર્ટના શરણે ગયા હતા

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ ગેરકાયદે પ્રવેશ કરી વીજ પોલ અને વાયર નાખવાની કામગીરી કરતા ખેડૂતો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે રકઝક પણ થઈ હતી. જેને લઈને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને મામલો થાળે પાડયો હતો.

બીજા દિવસે કંપનીના કર્મચારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરતા ખેડૂતો સાથે પોલીસને ઘર્ષણમાં ઉતરવું પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઇ ખેડૂતોએ પૂરતું વળતર મળે નહીં ત્યાં સુધી કામ બંધ રાખવા જણાવ્યું હતું પરંતુ તેમ છતાંય કામ શરૂ કરવામા આવતા વાવડી ગામના ખેડૂત જાદવજીભાઈ પટેલ કોર્ટના શરણે ગયા હતા. જેમાં ધ્રાંગધ્રા કોર્ટના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ દ્વારા પાવરગ્રીડ કંપનીને ખેતરમાં કામ બંધ રાખવા માટે હાલ પૂરતો (કામ ચલાઉ) મનાઈ હુકમ કરવામાં આવ્યો છે. જેની નકલ સ્થાનિક પોલીસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને પણ રવાના કરી હતી. વાવડી ગામના એક ખેડૂતને કોર્ટ દ્વારા મનાઈ હુકમ આપતા હવે અન્ય ખેડૂતો પણ પાવરગ્રીડ કામોની સામે કોર્ટમાં જવા તૈયાર થયા છે.