Get The App

ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ દેસાઇને પોલીસ જાપ્તા સાથે ૧૫ દિવસના જામીન મળ્યા

પુત્રના એડમિશન તેમજ સારવાર માટે પોલીસ જાપ્તા સાથે જામીન અપાયા : જાપ્તાના ૧૫ હજાર જમા કરાવવા આદેશ

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ દેસાઇને પોલીસ જાપ્તા સાથે ૧૫ દિવસના જામીન મળ્યા 1 - image

વડોદરા : સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવનાર કરજણના સ્વીટી પટેલ હત્યા કેસના મુખ્ય આરોપી અને પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈએ બાળકના એડમિશન માટે તેમજ સારવાર માટે વચગાળાના જામીન માંગતા અદાલતે અજય દેસાઇના પોલીસ જાપ્તા સાથે ૧૫ દિવસના જામીન મંજૂર કર્યા હતા.અદાલતે પોલીસ જાપ્તાના ૧૫ હજાર જમા કરાવવાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૧માં કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ અજય દેસાઈ કરજણ ખાતે પ્રયોશા  સોસાયટીમાં પોતાની કથિત બીજી પત્ની સ્વીટી પટેલ સાથે રહેતા હતા. પ્રથમ લગ્ન થયેલા હોવા છતાં સ્વીટી સાથે રહેતા અજય દેસાઈને લગ્ન બાબતે અવારનવાર સ્વીટી સાથે ઝઘડા થતા હતા. આ વિવાદમાં અજય દેસાઈએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે લાશને કારમાં અટાલી ખાતેની નિર્જન જગ્યાએ લઈ જઈ સળગાવી દીધી હતી.

પોલીસ બેડામાં ખળભળાટ મચાવનારા આ બનાવની તપાસ જે તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. હાલમાં આ કેસમાં તપાસ કરનાર અધિકારીની જુબાની લેવાની પ્રક્રિયા અદાલતમાં ચાલી રહી છે. જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, જેલમાં પણ હીપ સર્જરી બાદની સારવાર ઉપલબ્ધ કરાવી શકાય છે. જ્યારે બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, અરજદાર અજય દેસાઈ અગાઉ જ્યારે પણ જામીન પર મુક્ત થયા ત્યારે તેમણે કોર્ટની તમામ શરતોનું પાલન કર્યું છે.

અદાલતે અજય દેસાઇના જામીન મંજૂર કર્યા હતા અને તેમાં કેટલીક શરતો પણ મુકી હતી, જેમાં અજય દેસાઈએ અમદાવાદના જે વિસ્તારમાં રોકાણ કરવાનું હોય ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં દરરોજ હાજરી પૂરવાની રહેશે. તેણે ૨૫,૦૦૦ રૃપિયાના પર્સનલ બોન્ડ અને તેટલી જ રકમના જામીન પર મુક્ત કરવાનો આદેશ કરાયો છે. સાથે જ, તેમની સાથે હથિયારધારી પોલીસ ગાર્ડ રાખવાની અને તેનો રૃા.૧૫,૦૦૦નો ખર્ચ પણ આરોપીએ ભોગવવાની શરત રાખવામાં આવી છે.

અજય દેસાઈએ અરજીમાં રજૂઆત કરી હતી કે તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થુ હજુ સુધી જમા થયું નથી, જેના કારણે બાળકોની શૈક્ષણિક ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે. કોર્ટે આ પાસાને ધ્યાનમાં રાખીને ફક્ત સારવાર અને ફીની વ્યવસ્થા માટે જામીન મંજૂર કર્યા હતા. અજય દેસાઇએ ૧૫ દિવસની મુદત પૂર્ણ થતાની સાથે જ વડોદરા જેલ સમક્ષ હાજર થવાનું રહેશે.