ભરૂચમાં નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયું પ્રેમી યુગલ, માછીમારો બન્યા તારણહાર!
Bharuch News: ગુજરાતમાં હાલ કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. આ સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યા છે. ત્યારે ભરૂચમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં નર્મદા નદીના બ્રિજ નીચે બેઠેલું એક પ્રેમી યુગલ પાણીના અચાનક વધેલા પ્રવાહમાં ફસાઈ ગયું હતું. જોકે, સ્થાનિક માછીમારો અને લોકોની સમયસૂચકતાથી તેમનો જીવ બચી ગયો હતો.
શું હતો મામલો?
મળતી માહિતી અનુસાર, ભરૂચમાં નર્મદા નદીના બ્રિજ નીચે એક પ્રેમી યુગલ જીવના જોખમે બેઠું હતું. આસપાસની પરિસ્થિતિ એવી હતી કે નર્મદા નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. અચાનક નદીમાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે આ યુગલ પાણીની વચ્ચે આવેલા બિજના પીલર પર જ ફસાઈ ગયું. સ્થાનિક લોકોએ યુગલને બહાર આવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહોતા.
માછીમારોએ જીવ જોખમે બચાવ્યા
પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં, અંતે સ્થાનિક માછીમારો પોતાનો જીવ જોખમમાં મૂકીને નાવડી દ્વારા બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવા પહોંચ્યા. ભારે જહેમત બાદ તેમને નદીના સામે છેડે સુરક્ષિત લવાયા. આટલી જોખમી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છતાં, આ પ્રેમી યુગલના ચહેરા પર કોઈ ડર જોવા મળ્યો નહોતો. આ ઘટનાએ ફરી એકવાર નદી કિનારે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.