આ કેવી સજા...!! પાવી જેતપુરમાં પ્રેમલગ્ન કરનાર યુગલનો ગામના લોકોએ બહિષ્કાર કર્યો, જાણો કેવા કેવા દંડની જોગવાઈ
Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામે યુવક અને યુવતીને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા છે. ગ્રામજનોની તાલીબાની સજાનો સામનો કરવો પડ્યો છે. બંને પ્રેમીઓ તેમજ યુવકના કુંટુંબીજનોએ સમાજના તેમજ ગામના બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે.
યુવકના ઘેર કોઇ જાય તો રૂ.25 હજારના દંડનો ઠરાવ કર્યો
આ અંગેની વિગત એવી છે કે આંબાખૂટ ગામમાં રહેતા કાજર જયંતિભાઇ બારિયાને ફળિયામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતાં. યુવતી લાપત્તા થઇ જતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને કાજરે યુવતી પોતાની પાસે હોવાની કબૂલાત કરી હતી. યુવક અને યુવતી બંને એક જ કુંટુંબના હોવાથી લગ્ન ના થઇ શકે તેમ જણાવી યુવતીના પરિવારજનો યુવતીને પરત માંગી રહ્યા છે.
દરમિયાન સમગ્ર મામલો આદિવાસીઓના પંચ સમક્ષ પહોંચ્યો હતો. યુવતીને પરત ઘેર જતા રહેવા જણાવતા યુવતીએ યુવક સાથે રહેવાનું પસંદ કર્યુ હતું જેથી પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ, સમાજમાંથી બહાર કરવાનો ઠરાવ કર્યો હતો અને યુવકને રૂા.9 લાખ આપવાનું નક્કી કર્યું હતું. આ અંગે પંચના આદેશનો ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે સમાજના નિયમ મુજબ રૂા.1.75 લાખ સુધી દાવો આપવાનો હોય છે. પરંતુ આ લોકોએ રૂા.10 લાખની માંગણી કરી આખરે રૂા.9 લાખ નક્કી કર્યા હતા અને ગામની કોઇ પણ વ્યક્તિ અમારા ઘેર આવે તો તેને રૂા.25 હજારના દંડનો ઠરાવ કર્યો હતો.
અમે ઠરાવની કોપી માંગીએ તો આપતા નથી.પંચના આદેશના કારણે અમારે ગામની બહાર રહેવું પડે છે. ગામની સીમમાં મકાઇનો પાક છે પરંતુ તે રસ્તો પણ બંધ કરી દેતા ત્યાં જઇ શકતા નથી. ઉલ્લેખનીય છે કે યુવક દ્વારા સમગ્ર મામલકે જિલ્લા કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી છે.