ભાવનગરમાં કોરોના વાયરસની ગતિ વધી, વધુ 7 કેસ નોંધાયા
- કોરોના વાયરસના કેસ વધતા શહેરીજનોમાં ફફડાટ
- સરદારનગર, કાળિયાબીડ, વિજયરાજનગર સહિતના વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા : શહેર-જિલ્લામાં 16 દિવસમાં કોરોનાના કુલ 30 કેસ નોંધાયા
ભાવનગર શહેરમાં આજે શુક્રવારે કોરોના વાયરસના વધુ ૭ કેસ નોંધાયા છે, જેમાં શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા પ૬ વર્ષના પુરૂષ, વિજયરાજનગરમાં રહેતા ૮પ વર્ષના પુરૂષ, ડોકટર કવાર્ટસમાં રહેતા ર૦ વર્ષની સ્ત્રી (ટ્રાવેલ હિસ્ટ્રી રાજકોટ), કાળિયાબીડમાં રહેતા રર વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી ગાંધીનગર), નારી ગામે રહેતા ૩૩ વર્ષના પુરૂષ, સરદારનગરમાં રહેતા ૬૪ વર્ષના સ્ત્રી, કાળિયાબીડમાં રહેતો ૧ર વર્ષનો બાળક વગેરેનો સમાવેશ થાય છે. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે.
શહેરમાં આજે વધુ એક દર્દી કોરોના મૂક્ત થયા છે, જેમાં ફુલસરમાં રહેતા ર૮ વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૬ દિવસમાં કોરોનાના કુલ ૩૦ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ર૯ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૯ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના ૧૯ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસની ગતી વધી રહી છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.