વડોદરામાં હવે કોરોનાના દર્દીઓ હાઈડ્રોકસીન કલોરોકવીન દવા બહારથી ખરીદવા મજબૂર
- દવાનો જથ્થો રાજ્ય સરકાર તરફથી નહીં મળતા કોર્પોરેશને આપવાનું બંધ કર્યું
- કોરોના પોઝિટિવ દર્દીઓને દવા વિનામૂલ્યે આપવાની બંધ કરી બજારમાંથી ખરીદી કરવા જણાવવામાં આવતા વિવાદ
વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરુવાર
વડોદરા શહેરમાં કોરોના મહામારીમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જે દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો હોય એવા દર્દીઓને હાઈડ્રોકસીન કલોરોકવીન દવા વિના મૂલ્યે આપવામાં આવતી હતી અને પાંચ દિવસનો કોર્સ કરાવવામાં આવતો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી હાઈડ્રોકસીન કલોરોકવીનનો જથ્થો રાજ્ય સરકાર તરફથી નહીં મળતા દર્દીઓને બહારથી ખરીદવાની સુચના આપવામાં આવે છે.
વડોદરા શહેરમાં કોરોના મહામારી ની શરૂઆત માર્ચ મહિનાથી થઈ હતી ક્યારે પ્રારંભમાં અલગ-અલગ દવા આપીને કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી જેમાં hydroxychloroquine દવા કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની હતી જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર તરફથી ગુજરાતના તમામ શહેરોમાં કોરોના પોઝિટિવના દર્દીઓને સરકારી હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી વિનામૂલ્યે આ દવા આપવામાં આવતી હતી.
વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા કેટલાક સમયથી એન્ટીજન ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે આ ટેસ્ટ દરમિયાન જે વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવા કિસ્સામાં દર્દીઓને હાઈડ્રોકસીન કલોરોકવીન દવા નો પાંચ દિવસનો કોર્સ કરાવવામાં આવતો હોય છે એમ જ તેની સાથે અન્ય વિટામિન ની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે સાથે સાથે તેને હોમક્વોરન્ટિન રહેવાની પણ સલાહ આપવામાં આવતી હોય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩૪ ધન્વંતરી રથ પરથી કોરોના પોઝિટિવ ના દર્દીઓને આપવામાં આવતી આ દવા છેલ્લા કેટલાક સમયથી આપવાની બંધ કરી દેવામાં આવી છે અને ડોક્ટરો તેઓને બજારમાંથી ખરીદી કરીને લેવાની સલાહ આપતા હોય છે.
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે હાઈડ્રોકસીન કલોરોકવીન દવા રાજ્ય સરકાર તરફથી વડોદરા કોર્પોરેશનને પહોંચાડવામાં આવે છે પરંતુ આ જથ્થો આપવાનો બંધ કરી દેવામાં આવ્યો હોવાથી કોર્પોરેશનને પણ દર્દીઓને આપવામાં આવતી વિનામૂલ્યે દવા બંધ કરી દીધી છે જેથી વિવાદ સર્જાયો છે.