સૌરાષ્ટ્રમાં કોરોનાને મોકળુ મેદાન : સલાયામાં એન્ટ્રી, રાજકોટમાં 4 દાખલ
જામનગરના ડેન્ટલ હોસ્ટેલમાં 10 વિદ્યાર્થીઓમાં ચેપ ફેલાયો : ઓમિક્રોન રસીને ગાંઠતો નથીઃ રાજકોટના બે વૃધ્ધોએ વેક્સીનના 3 ડોઝ લીધા, અગાઉ કોરોના બાદ ફરી કોરોના : એક દાખલ કરાયા
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટથી કોરોનાએ ફરી મોં ફાડયું છે પરંતુ, આનાથી સિમ્પટમ્સ માઈલ્ડ જણાતા હોય સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક, સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ મોટાભાગે કોઈ કરતું નથી અને કોરોનાને પ્રસરવા માટે જાણે મોકળુ મેદાન છે. આજે દ્વારકા જિલ્લામાંં પણ કોરોનાની એન્ટ્રી થઈ હતી. તો રાજકોટમાં હવે દર્દીને એડમીટ પણ કરવા પડે છે, કોવિડ વોર્ડમાં 4ને દાખલ કરાયા છે અને શહેરમાં વધુ 9 દર્દી નોંધાયા છે તો જામનગરમાં વધુ 8 કેસો આજે જાહેર થયા હતા. દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના સલાયાના શેફી ઢોળા વિસ્તાર અને બરાડી ગેઈટ ખાતે રહેતા 18 વર્ષ અને 25 વર્ષની વયના બે યુવાનોને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા બન્નેને હોમ આઈસોલેટ કરાયા છે. ખંભાળિયા સસ્વિલમાં કોરોના દર્દી માટે ઓક્સીજન,વેન્ટીલેટર સહિત ખાસ વોર્ડ તૈયાર કરાયો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે હરિનગર-3માં એપાર્ટમેન્ટમાં રહેતા 85 વર્ષના દર્દીને ગળામાં દુખાવો,ઉધરસ હોય અને સાથે ડાયાબીટીસ સહિત જુની બિમારી હોય તેને સારવાર અપાયેલ છે. આ દદીએ કોરોના વેક્સીનના પૂુરા ત્રણ ડોઝ લીધેલા છે અને તેને ઈ.સ. 2023માં પણ કોવિડ પોઝીટીવ રિપોર્ટ બાદ ફરી કોરોના થયો છે. આ ઉપરાંત આજે અયોધ્યા ચોક ખાતે સિધ્ધિ વિનાયક પાર્કમાં રહેતા અને વેક્સીનના પૂરા ડોઝ લેનાર 64 વર્ષના વૃધ્ધને પણ અગાઉ કોરોના થયા બાદ ફરી કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યાનું અને કૂલ 4 દર્દી દાખલ થયા છે.આ ઉપરાંત રાજકોટમાં આજે જાહેર કેસોમાં ગાંધીગ્રામમાં 74 વર્ષના વૃધ્ધાને બાયપેપ પર મુકવામાં આવેલ છે, જ્યારે લક્ષ્મીનગરમાં 62 વર્ષીય અને અવિતંકા પાર્કમાં 63 વર્ષીય વૃધ્ધા, કે.જે.સોસાયટીાં 10 વર્ષનો બાળક, નાનામવામાં 45 વર્ષના, પ્રગતિ સોસાયટીમાં 54 વર્ષ, અયોધ્યા સોસાયટીમાં 23 વર્ષીય, સરસ્વતી સોસાયટીમાં 48 વર્ષના અને જામનગર રોડ પર 75 વર્ષના પુરૂષો સહિત આજે 9 કેસો સહિત શહેરમાં કૂલ 77 કેસો જાહેર થયા છે જેમાં ૪૫ સારવાર હેઠળ છે.
જામનગરની ડેન્ટલ કોલેજમાં ભણતા અને ત્યાં હોસ્ટેલમાં રહેતા અગાઉ 7 વિદ્યાર્થી બાદ આજે વધુ 7 વિદ્યાર્થીઓ સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યો છે, આમ, આ હોસ્ટેલમાં કૂલ 10 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.ઉપરાંત પી.જી.હોસ્ટેલમાં રહેતા વધુ એક તબીબી વિદ્યાર્થી પણ કોરોનાથી સંક્રમિત થયેલ છે. આ ઉપરાંત જામનગરમાં આજે ક્રિકેટ બંગલા વિસ્તારમાં 25 વર્ષની યુવતી, ઓશવાળ કોલોનીમાં 20 વર્ષ અને વાલકેશ્વરી નગરી વિસ્તારમાં 19 વર્ષના યુવાનને, પ્રતાપનગરમાં 48 વર્ષીય મહિલા સહિત કોરોનાના વધુ 8 કેસો નોધાયા છે.