'તમે ફ્યુલ કેમ બંધ કર્યું...' જાણો અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા બંને પાયલટ વચ્ચે શું વાત થઈ હતી
Ahmedabad Plane Crash News : અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન (AI171) અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે. ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) ના અહેવાલમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. અહેવાલ મુજબ, વિમાનના બંને એન્જિન ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી અચાનક બંધ થઈ ગયા, જેના કારણે વિમાનની ગતિ ધીમી પડી ગઈ અને તે ક્રેશ થયું.
આ દરમિયાન, બંને પાયલટ વચ્ચે વાતચીત સામે આવી છે. એક પાયલટે પૂછ્યું, તમે ફ્યુલ કેમ બંધ કર્યું? તેના પર બીજા પાયલટે જવાબ આપ્યો, મેં એવું નથી કર્યું. આ વાતચીતની થોડીક સેકન્ડ પછી, વિમાનની ગતિ ધીમી થવા લાગે છે અને આ વિમાન મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાઈ જાય છે.
આ કિસ્સામાં, એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB) એ હવે અકસ્માતનું કારણ જાણવા માટે 15 પાનાનો અહેવાલ બહાર પાડ્યો છે. આ પ્રારંભિક અહેવાલ છે. તેમાં માત્ર ટેકનિકલ કારણો જ જાહેર થયા નથી, પરંતુ કોકપિટમાં છેલ્લી વાતચીતે ઘણા નવા પ્રશ્નો ઉભા કર્યા છે.
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતા વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. ઉલ્લખેનીય છે કે એર ઇન્ડિયાનું આ વિમાન 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અને 19 અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.
બંને એન્જિનનું ઇંધણ એકસાથે બંધ થઈ ગયું...
ટેકઓફ પછી તરત જ, બંને એન્જિનના ફ્યુલ કટ ઓફ સ્વિચ 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં આવી ગઇ હતી. તે પણ માત્ર એક સેકન્ડના અંતરે. ત્યારપછી, બંને એન્જિનની થ્રસ્ટ ક્ષમતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. ટેકઓફ પછી તરત જ, વિમાન સીધું અમદાવાદની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડી ગયું. આનાથી જાનમાલનું ભારે નુકસાન થયું.
કોકપિટમાં આઘાતજનક વાતચીત
અકસ્માતની થોડીક સેકન્ડ પહેલા, પાયલટ્સ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. એક પાયલટે પૂછ્યું, તમે ફ્યુલ કેમ બંધ કર્યું? બીજા પાયલટે જવાબ આપ્યો, મેં એવું નથી કર્યું. આ વાતચીત ટેકનિકલ ખામી અથવા માનવ મૂંઝવણ તરફ ઈશારો કરે છે. ટેકઓફ પછી થોડીવારમાં, સીસીટીવીએ બતાવ્યું કે ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ (RAT) સક્રિય થઈ ગઈ હતી અને આ ત્યારે જ થાય છે જ્યારે એન્જિન બંધ થઈ જાય છે.
ફ્યુલ સ્વિચ ફરી ઓન કરાઈ પણ...
એક એન્જિન (એન્જિન 2) થોડા સમય માટે કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બીજું એન્જિન (એન્જિન 1) સ્થિર થઈ શક્યું ન હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં પક્ષી અથડામણના કોઈ પુરાવા મળ્યા નથી, જેણે આ કારણને નકારી કાઢ્યું હતું.