વડોદરામાં એલેમ્બિક સિટીમાંથી પસાર થતા રસ્તાનો વિવાદ : આખરે રોડ લોકો માટે ખુલ્લો કરાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી એલેમ્બિક સિટીના રસ્તાનો છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો કંપનીએ રસ્તો બંધ કરી દીધા બાદ સયાજીગંજના ધારાસભ્યએ રજૂઆત કરતા આજથી રસ્તો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રસ્તો કોની માલિકીનો છે? એવો સવાલ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ મ્યુ. કમિશનરને કર્યો હતો. આ રોડ રસ્તાનો ઉપયોગ સામાન્ય નાગરિક કરી શકે કે નહીં? એવી રજૂઆત બાદ આ રોડ રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો કરાતા ગેંડા સર્કલથી શાસ્ત્રી બ્રિજ તરફ જતા વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે શહેરના ગોરવા વિસ્તારમાં ઇન ઓર્બીટ મોલ સામે એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રોડ રસ્તો કોની માલિકીનો છે તેઓ સવાલ ધારાસભ્ય કેયુર રોકડિયાએ પાલિકા કમિશનર સમક્ષ કરી જણાવ્યું હતું કે એલેમ્બિક સિટીમાંથી જ્યોતિ કંપની થઈને શાસ્ત્રી બ્રિજ બાજુ નીકળતા રોડ રસ્તા પર એલેમ્બિક કંપની દ્વારા ગેટ મૂકી દેવાયો છે અને ચારે બાજુએ બેરીકેડિંગ મૂકીને સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યો છે. ગેંડા સર્કલ પાસે ટ્રાફિક જામ હોય ત્યારે વાહન ચાલકો આ રસ્તા નો ઉપયોગ કરી શાસ્ત્રી બ્રિજ સુધી જવાનું સરળ છે ત્યારે ઘણી વખત અહીના સિક્યુરિટી ગાર્ડ વાહન ચાલકોને રોકતા હોય છે. જોકે જાણવા મળેલી વિગતો મુજબ આ જૂનો નાળિયા રોડ રસ્તો સરકારી ચોપડે નોંધાયેલો છે. એલેમ્બિક કંપનીએ અહીં વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શનના કામ કર્યા ત્યારે તેમણે એફએસઆઇ મેળવી હતી. જ્યારે કોઈ એફએસઆઇ મેળવે તો એ રસ્તો કામગીરી પૂરી થયા બાદ પાલિકાને પરત સોંપી દેવો પડે અને ટીપી રોડ જાહેર કરવો પડે તો એફ એસ આઇ મળતી હોય છે.
દરમિયાન ધારાસભ્ય કેયુર રોકડિયાની રજૂઆત બાદ અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજવાની છે ત્યારે કોઈ વાદવિવાદ થાય નહીં એવા ઇરાદે, એલેમ્બિક કંપની દ્વારા તાત્કાલિક ધોરણે એલેમ્બિક સિટીની અંદરનો આ જૂનો નાળિયા રોડ રસ્તો તાત્કાલિક ધોરણે ખુલ્લો કરીને વાહન ચાલકો માટે ઉપયોગમાં લેવાનું જાહેર કરવામાં આવ્યું હતું.









