Get The App

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ 1 - image

- ગેરકાયદેસર બેઠકો અને ખાતમુહૂર્ત મુદ્દે કલેક્ટરને રજૂઆત

- કાર્યકાળ પૂર્ણ થયા બાદ પોતાને પાલિકા સભ્ય તરીકે રજૂ કરનાર અને જાહેર પ્રચાર કરનાર સામે કાર્યવાહીની માંગ

કપડવંજ : કપડવંજ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખનો પાંચ વર્ષનો કાયદેસરનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં, પૂર્વ સભ્યો દ્વારા સત્તાનો કથિત દૂરુપયોગ કરી ગેરકાયદેસર રીતે કારોબારી બેઠકો અને વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠયો છે. આ મામલે અરજદાર મનુભાઈ રામભાઈ પટેલે નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

અરજદાર મનુભાઈ રામભાઈ પટેલની રજૂઆત મુજબ, કપડવંજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ ૨૮-૦૨-૨૦૨૧ના રોજ યોજાઈ હતી અને તેનું પરિણામ ૦૨-૦૩-૨૦૨૧ના રોજ જાહેર થયું હતું. ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, ૧૯૬૩ મુજબ નગરપાલિકાનો કાર્યકાળ ચૂંટણીના પરિણામ જાહેર થયાના દિવસથી પાંચ વર્ષનો ગણાય છે. આ મુજબ કપડવંજ નગરપાલિકાનો કાયદેસર કાર્યકાળ ૦૧-૦૩-૨૦૨૬ની મધરાતે પૂર્ણ થઈ ગયો છે અને ૦૨-૦૩-૨૦૨૬થી ચૂંટાયેલી બોડી કાયદેસર રીતે અસ્તિત્વમાં નથી. રજૂઆત કરવામાં આવેલા આક્ષેપ મુજબ, હજુ કેટલાક ભૂતપૂર્વ ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાને નગરપાલિકા સભ્ય તરીકે જાહેરમાં રજૂ કરી વિકાસ કામોના ખાતમુહૂર્તના જાહેર પ્રચાર કરવામાં આવી રહ્યાં છે. 

તેમજ રજૂઆતમાં જણાવાયું છે કે, નગરપાલિકાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ કારોબારી કમિટીની મિટિંગ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. કાર્યકાળ પૂર્ણ થતાં કારોબારી કમિટીનું અસ્તિત્વ જ રહેતું નથી, તેથી તેની કોઈપણ બેઠક, ઠરાવ, નીતિગત કે નાણાકીય નિર્ણય કાયદેસર માન્ય રહી શકતા નથી. ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ મુજબ કારોબારી કમિટીની બેઠક અને નીતિગત/નાણાંકીય નિર્ણયો માત્ર કાયદેસર કાર્યકાળ દરમિયાન જ લઈ શકાય. તેમજ અધિનિયમના ભંગ સાથે કરવામાં આવેલી કોઈપણ કાર્યવાહી અમાન્ય અને રદયોગ્ય ગણાય છે. તેમજ કાર્યકાળ પૂર્ણ થયા બાદ કોઈ પણ ભૂતપૂર્વ સભ્યને

નગરપાલિકાના નામે ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવાની, વિકાસ કામોના નામે જાહેર પ્રચાર કરવાની, પોતાને નગરપાલિકા સભ્ય તરીકે ઓળખ આપવાની, અથવા કારોબારી કમિટીની મિટિંગ યોજવાની કોઈ કાયદેસર સત્તા રહેતી નથી. જેથી કાર્યકાળ પૂર્ણ થયા બાદ કરવામાં આવેલા અથવા આયોજનમાં રહેલા તમામ ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમોની તાત્કાલિક તપાસ કરાવવામાં આવે. તેમજ માંગ કરવામાં આવી છે કે, ગેરકાયદેસર રીતે પોતાને નગરપાલિકા સભ્ય તરીકે રજૂ કરનાર અને જાહેર પ્રચાર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે. તેમજ કારોબારી કમિટીની કોઈપણ ગેરકાયદેસર મિટિંગ તાત્કાલિક રોકવામાં આવે અને તે અંગે લેખિત સૂચના બહાર પાડવામાં આવે.