Get The App

નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ 1 - image

કબ્રસ્તાન ચોકડી સામે આવેલી દુકાનો તોડી રિ-કન્સ્ટ્રક્શન

શહેરમાં મંજૂરી વગર જૂની દુકાનો તોડવાનું શરૂ કરાયું  તપાસ બાદ કાર્યવાહીની મનપાના ડેપ્યુટી કમિશનરની ખાતરી

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાની માલિકીની દુકાનોને ખાનગી વ્યક્તિ દ્વારા તોડીને ગેરકાયદે રીતે રિકન્સ્ટ્રક્શન શરૂ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. કબ્રસ્તાન ચોકડીની સામે આવેલી તંત્રની માલિકીની દુકાનો વર્ષોથી ગેરકાયદે કબ્જો કરીને રાખવામાં આવી હતી. હવે તેને તોડીને નવું કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે નડિયાદ મનપાએ તપાસ હાથ ધરી હોવા છતાં કોઈ કાર્યવાહી ના થતા સવાલો ઉભા થયા છે.

મહાનગરપાલિકાની કબ્રસ્તાન ચોકડી પાસે આવેલી તંત્રની માલિકીની દુકાનો પર વર્ષોથી ખાનગી વ્યક્તિ દ્વારા ગેરકાયદે કબ્જો જમાવવામાં આવ્યો હતો. આ દુકાનોને હવે રાતોરાત તોડી પાડીને નવા કન્સ્ટ્રક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. દુકાનોનું કામ પાયાના લેવલથી પ્લીન્થ લેવલ સુધી લાવી દેવામાં આવ્યું છે અને હવે ગમે ત્યારે સ્લેબ કાસ્ટિંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. તા. ૬ઠ્ઠીને ગુરુવારે પણ દુકાનોનું કામ પુરજોશમાં ચાલતું દેખાયું હતું. મોટા બિલ્ડર દ્વારા આ દુકાનોની કામગીરી કરવામાં આવતી હોવાથી પાલિકાની ટીમે કાર્યવાહી ન કરી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. વધુમાં, રાજકીય આશ્રિત વ્યક્તિ દ્વારા આ દુકાનો બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે. તંત્રની આ ગાઢ નિંદ્રાના કારણે શહેરમાં ચોતરફ મંજૂરી વગર જૂની દુકાનો તોડીને નવી દુકાનો બનાવવા માટે લોકો સક્રિય થયા છે.  તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે અને પોતાની માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામ અટકાવશે કે કેમ? તે મહત્વનો પ્રશ્ન બન્યો છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું સ્ટેટસ મળ્યા બાદ નડિયાદ શહેરના વિકાસ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. ત્યારે ખુદ તંત્રની માલિકીની જગ્યા પર જ ગેરકાયદે બાંધકામ થવાના કારણે તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે.  આ સમગ્ર મામલે નડિયાદ મહાનગર પાલિકા ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, હાલ હું ગાંધીનગર છું. આ મામલે તપાસ કરાવ્યા બાદ વધુ વિગતો આપીશ. જો કંઈ પણ નિયમો વિરુદ્ધનું જણાશે તો નિયમોન ુસાર કાર્યવાહી કરવામાં આવશે.

- પાલિકાના સમયમાં સંખ્યાબંધ દુકાનોનું ગેરકાયદે બાંધકામ થયું

નડિયાદ નગરપાલિકાના સમયે પાલિકા બિલ્ડીંગની બિલકુલ અડોઅડ અને સાંસદ સુવિધા કેન્દ્રની સામે એક કાઉન્સિલરની મિલીભગતથી બે દુકાનો રાતોરાત પાડી દઈ અને તેનું પુનઃ નિર્માણ કરી દેવાયું હતું. આ સિવાય શહેરના સોશિયલ ક્લબની સામે પણ પાલિકાની પાછળના ભાગની દુકાનોમાં પ્રથમ માળે તે વખતના એક કમિટિના ચેરમેનની મીલિભગતથી ચારેક દુકાનોમાં પણ રિનોવેશનની કામગીરી કરાઈ હતી.