વડોદરાના માંજલપુરમાં વિશ્વામિત્રી નદી કિનારે પ્લાસ્ટિક સ્ક્રેપ ભરેલા થેલા ઠાલવી જવાથી વિવાદ
Vadodara : વડોદરા શહેરમાં ગત ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં ત્રણ વાર ભારે પૂર આવ્યું હતું. પરિણામે શહેરીજનોને ભારે યાતનાઓ ભોગવવી પડી હતી ત્યારબાદ લોકોને પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનો કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટની કામગીરી ચોમાસા અગાઉ અંદાજિત 90 ટકા પૂરી થઈ ગઈ છે. જ્યારે બીજી બાજુ શહેરના દક્ષિણ વિસ્તારમાં માંજલપુર ખાતે આવેલી વિશ્વામિત્રી નદીનો રિવાઇવલ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થયો છે ત્યારે નદીના કિનારે પ્લાસ્ટિકના થેલા ભરેલા સ્ક્રેપ સહિત છૂટો પ્લાસ્ટિકનો સ્ક્રેપ નાખવામાં આવે છે. આગામી ચોમાસા દરમિયાન જો પૂર આવે તો આ સમગ્ર સ્ક્રેપ નદીમાં તણાઈ જાય. આવા અણગઢ વહીવટ બાબતે અહીંયા પ્લાસ્ટિકનો સ્ક્રેપ નાખવાની મંજૂરી કોણે આપી એ અંગે તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી. ઉપરાંત પણ પ્લાસ્ટિકના સ્ક્રેપ ભરેલા કોથળા ભરેલી હાથલારીઓ પણ નિયમિત રીતે આવે છે તે સ્પષ્ટ જણાય છે.
જોકે દક્ષિણ વિસ્તારનો સ્ક્રેપને કચરો ભરેલી ગાડીઓ પણ મુંજ મહુડા ખાતે નાખવા માટેની જગ્યા નક્કી કરવામાં આવી છે અને ત્યાં જ નંખાય છે છતાં પણ આ જગ્યાએ પ્લાસ્ટિકનો સ્ક્રેપ નાખવા પાછળનું યોગ્ય કારણ તંત્ર દ્વારા શોધવામાં આવે તે જરૂરી છે.