Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી આજવા સરોવરને ઊંડું કરવાની કામગીરી સામાન્ય સભાની મંજૂરી વિના શરૂ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આજવા સરોવર વડોદરા મહાનગરપાલિકાની માલિકીની મિલકત હોવાથી તેના સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ કામગીરી માટે સામાન્ય સભાની પૂર્વ મંજૂરી લેવી કાયદેસર રીતે ફરજિયાત છે.
રજૂઆતમાં જણાવાયું છે કે જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશનની માલિકીની મિલકતો અંગેના કાર્યો માટે સામાન્ય સભાની મંજૂરી મેળવવાની જોગવાઈ છે. તેમ છતાં આજવા સરોવરને ઊંડું કરવાની દરખાસ્ત અત્યાર સુધી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં મંજૂરી વિના કામગીરી શરૂ કરવી સત્તાના દુરુપયોગ સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં આક્ષેપ કર્યો છે કે મેયર સહિતના પદાધિકારીઓ ભગવાન શ્રી સત્યનારાયણની કથામાં વ્યસ્ત હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર, કોન્ટ્રાક્ટર, કોન્ટ્રાક્ટરના મિત્ર (કાઉન્સિલર) અને કોર્પોરેશનના અધિકારીઓ તળાવ ઊંડું કરવાની કામગીરીના ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ તમામ પ્રોટોકોલને અવગણીને માત્ર પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટર પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાથી તેના ઇશારે કામગીરી કરવામાં આવી છે. જો દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હોત તો તમામ કોર્પોરેટરોને તેની જાણ થઈ શકી હોત. પરંતુ તે પ્રક્રિયા અપનાવવામાં આવી નહીં અને વડોદરાના પ્રથમ નાગરિક ગણાતા મેયરને પણ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પૂર્વ વિપક્ષી નેતાએ રજૂઆતમાં જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનાક્રમ મેયરનું અપમાન સમાન છે અને આવા પ્રકારનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.


