Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં પાણીની ટાંકીના લોકાર્પણ પ્રસંગે ભાજપના સિનિયર ધારાસભ્ય સી. કે. રાઉલજીએ એક સૂચક અને રસપ્રદ નિવેદન આપ્યું હતું, જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ધારાસભ્યની આ ટકોર મંચ પર હાજર નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.
'ફરિયાદનો મતલબ બે રીતે થાય'
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઑફિસર (CO) અને ઉપપ્રમુખ સહિતના મહાનુભાવો હાજર હતા ત્યારે ધારાસભ્ય સી. કે. રાઉલજીએ કહ્યું કે, 'કામ એવું કરો કે લોકો ફરિયાદ કરે. ફરિયાદનો મતલબ બે રીતે થાય. એક તો કામ એવું કે કામને લઈ લોકો ફરી યાદ કરે અને (બીજું) કામ એવું ખરાબ ના કરો કે લોકો ફરિયાદ કરે. સારું કામ કરશો તો લોકો ફરી વાર કામ કરનારને યાદ કરે.'
ધારાસભ્યના આ નિવેદનને શાસક પક્ષના નેતા તરફથી સ્થાનિક વહીવટી તંત્રને સારા અને જવાબદાર કામ માટેની ટકોર તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમનો સંકેત સ્પષ્ટ હતો કે પ્રજાના પૈસે થતાં કામો ગુણવત્તાયુક્ત હોવા જોઈએ, જેથી લોકો કામ કરનારને સકારાત્મક રીતે યાદ કરે, ન કે નબળા કામ માટે ફરિયાદ કરે.
આ પણ વાંચો: SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન
ઉલ્લેખનીય છેકે, આ નિવેદન ગોધરામાં પાણીની ટાંકીના લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું. નગરપાલિકાના વહીવટી તંત્રની હાજરીમાં આ પ્રકારનું નિવેદન આવતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેના ગુઢાર્થની ચર્ચાએ જોર પકડ્યું છે.


