Get The App

રાજકોટમાં અબજોની જમીનમાં ભ્રષ્ટ 'આચાર'! સ્વામિનારાયણ સંસ્થાના ગેરકાયદે બાંધકામને સરકારની મંજૂરી

Updated: Feb 1st, 2025

GS TEAM

Google News
Google News
Karansinhji Balaji Temple

Karansinhji Balaji Temple: રાજકોટના હાર્દસમાન વિસ્તારમાં આવેલી ઐતહાસિક સરકારી કરણસિંહજી હાઈસ્કૂલના પરિસરમાં અગાઉ ખુદ રાજ્ય સરકારે જ બાંધકામ નહીં કરવાની સ્પષ્ટ શરત સાથે ઐતહાસિક શાળા બિલ્ડીંગ બાલાજી ટ્રસ્ટને સોંપ્યું હતું જેમાં આ ટ્રસ્ટે સરકારના રાજકોટ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને મનપાના ટાઉન પ્લાનીંગ ઓફિસર સહિત સરકારી આદેશોનો ખુલ્લો ભંગ કરીને તોતિંગ ગેરકાયદે બાંધકામ ખડકી દેતા તેને કલેક્ટરે તંત્રે અટકાવ્યું હતું. 

પરંતુ, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ દ્વારા સરકારના જ આદેશનો ભંગ કરીને ખડકાયેલા આ બાંધકામને દૂર કરાવવાને બદલે તેને ખાસ કિસ્સામાં શરતી મંજુરી આપી દેતા સરકારના આ ખાતામાં નિયમોને ચાતરીને ભ્રષ્ટાચાર થયાની દેખીતી શંકા જન્મી છે. 

વિગત એવી છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ શંકાસ્પદ રીતે રાજકોટના વોર્ડ નં.5માં સિટી સર્વે નં.696 પૈકીની અબજો રૂપિયાની સરકારી જમીન કે જે કરણસિંહજી હાઈસ્કૂલ ધરાવે છે તેમાં આવેલું એક ઐતહાસિક બિલ્ડીંગ ખાનગી બાલાજી ટ્રસ્ટને માત્ર રિટ્રોફીટીંગ કરવાના હેતુથી તા.11-07-2022ના સોંપ્યું હતું. 

પરંતુ, માત્ર રિટ્રોફીટીંગનું કામ કરવાને બદલે આખી જમીનના 'સ્વામી' બની ગયા હોય તેમ વિવેકસ્વામીના આ ટ્રસ્ટ દ્વારા ત્યાં પહેલા લોકોના આસ્થાકેન્દ્ર જેવા અન્નક્ષેત્ર, ચબુતરામાં ફેરફેર કર્યો અને ઘટાટોપ વૃક્ષો મંજૂરી લીધા વગર કાપી નાંખ્યા. બાદમાં વર્ષો જુના એક નાનકડા રૂમમાં આવેલું બાલાજી હનુમાન મંદિરની આડ લઈને તેની આજુબાજુ અને ઉપર બે બિલ્ડીંગો વચ્ચે પુરતું માર્જીન પણ રાખ્યા વગર તોતિંગ બાંધકામ ખડકી દીધું. 

આ બાંધકામ ગેરકાયદેસર મંજુરી વગર ખડકાયું હોય મહાપાલિકાની જવાબદારી બનતી હોવાથી ટી.પી.ઓ.એ પણ તેને દૂર કરવા માટે નોટિસ ફટકારી  હતી. આમ છતાં પણ બાંધકામ જારી રહેતા લોકોના પ્રચંડ વિરોધ વચ્ચે મામલો પ્રાંત અધિકારીમાં પહોંચતા પ્રાંત દ્વારા બાંધકામ અનધિકૃત ગણાવીને સ્ટે આપવામાં આવ્યો હતો. તેની ઉપર કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોષી પાસે કેસ પહોચતા તેમણે પણ બંને પક્ષોને સાંભળી, પૂરાવા ધ્યાને લઈને આ બાંધકામ અનધિકૃત ઠરાવીને બાલાજી મંદિરના કોઠારી વિવેકસ્વામી વિરુધ્ધ ચૂકાદો આપીને યથાવત્ સ્થિતિનો હૂકમ કર્યો હતો. 

આ દરમિયાન અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે શિક્ષણાધિકારીને પણ તાકીદ કરાઈ હતી. પરંતુ, મહાપાલિકા, કલેક્ટર ઓફિસ કે જિલ્લા શિક્ષણાધિકારી સહિતના કોઈ પણ તંત્રએ આ ગેરકાયદે બાંધકામને દૂર કરવાને બદલે સમય પસાર કરતા ગયા. આ જ જિલ્લા વહીવટી તંત્રના મામલતદારો અને મહાપાલિકાનો ટીપી સ્ટાફ આ દરમિયાન ગરીબોને ઝુપડાંથી માંડીને વગવિહોણા લોકોના નાના મંદિરો પણ તોડતા રહ્યા પણ આ અબજો રૂપિયાની જમીન પરના ગેરકાયદે બાંધકામ સામે આંખ માંડવાનું પણ ટાળ્યું હતું. 

આ દર્શાવે છે કે સરકારમાંથી જ કોઈ મોટુ દબાણ હતું. આ વિવાદીત દબાણ દૂર કરનાર ટ્રસ્ટ સામે દાખલારૂપ પગલા લઈ આ બાંધકામ તોડવાને બદલે લોકોનો ભરોસો તોડવાનું પસંદ કર્યું છે અને ખુદ સરકારે જ લાદેલી શરત નં.6ને દૂર કરીને સરકારી જમીન પરનું ગીચતા સર્જતું જોખમી અને ગેરકાયદે બાંધકામ માટે એન.ઓ.સી. આપી દેવાયું છે. કહે છે કે આ માટે મોટો વહીવટ થયાની શંકા પણ જનમાનસમાં સ્વાભાવિક જાગી છે.

રાજકોટમાં અબજોની જમીનમાં ભ્રષ્ટ 'આચાર'! સ્વામિનારાયણ સંસ્થાના ગેરકાયદે બાંધકામને સરકારની મંજૂરી 2 - image