Get The App

સુરેન્દ્રનગરમાં પાણીની નવી લાઈન નાંખવામાં કોન્ટ્રાક્ટરના ધાંધિયા

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગરમાં પાણીની નવી લાઈન નાંખવામાં કોન્ટ્રાક્ટરના ધાંધિયા 1 - image


- જુની લાઇનમાં ભંગાણ થતાં વિતરણ વ્યવસ્થા ખોરવાઇ

- પાઈપલાઈન નાખી યોગ્ય બુરાણ નહીં કરતા રસ્તા ઉબડખાબડ થયા : વાહન ચાલકો ત્રસ્ત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા હાલ છેલ્લા ઘણા સમયથી શહેરના ધોળીધજા ડેમથી બાલા હનુમાન રોડ પર પાણીની ટાંકી સુધી પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી આડેધડ અને યોગ્ય રીતે બુરાણ કર્યા વગર કરવામાં આવતાં અનેક વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

સુરેન્દ્રનગર શહેરમાં ધોળીધજા ડેમથી બાલાહનુમાન રોડ પર આવેલી પાણીની ટાંકી સુધી પીવાના પાણીની નવી પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને કામદારો દ્વારા યોગ્ય રીતે ખોદકામ ન કરતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. જે જગ્યાએ પાઈપલાઈન નાંખી દેવામાં આવી છે ત્યાં સમતલ બુરાણ ન કરતા ધોળીધજા ડેમથી દાળમીલ રોડ, ચર્ચવાળો રસ્તો, મલાર ચોક સહિતના રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે. 

જેના કારણે ટ્રાફિકજામ તેમજ અકસ્માતના બનાવો બનવાની પણ દહેશત સેવાઈ રહી છે. જ્યારે ખોદકામ દરમ્યાન રસ્તાઓ બંધ કર્યા બાદ બન્ને સાઈડ કામગીરી શરૂ હોવાની જાણ કરતા સુચક બોર્ડ પણ લગાવવામાં ન આવતા અનેક વાહન ચાલકોને ધરમનો ધક્કો ખાવો પડે છે. તેમજ જુની પાઈપલાઈન પણ અમુક જગ્યાએ તોડી નાંખવામાં આવતા પાણી વિતરણ વ્યવસ્થાને ખોરવાઈ છે અને અનેક જગ્યા લીકેજ થતાં પાણીનો વેડફાટ થાય છે. મનપા તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરને સુચનાઓ આપી ઝડપથી નવી પાઈપલાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :