નિર્મળ ગુજરાત યોજનાનાં કરાર આધારિત કર્મચારીઓ 5 મહિનાથી પગારથી વંચિત
નજીવા પગારમાં કામ કરતા કર્મીઓનો દસ વર્ષથી પગાર નથી વધ્યો : દસ દિવસથી રાજ્ય વ્યાપી બેમુદ્દતી હડતાળ, પગાર નહિ થાય ત્યાં સુધી હડતાળ માટે મકકમ
રાજકોટ, : સરકારનાં વિવિધ વિભાગોમાં કરાર આધારિત કર્મચારીઓનું શોષણ લાંબા સમયથી શોષણ થઈ રહયું છે. રાજયનાં ગ્રામ વિકાસ વિભાગ હેઠળનાં સ્વચ્છ ભારત મિશન ( ગ્રામીણ ) અને નિર્મળ ગુજરાત યોજના હેઠળ કરાર આધારિત કામ કરી રહેલા સેંકડો કર્મચારીઓનો છેલ્લા પાંચ મહિનાથી પગાર થયો નથી આ કર્મચારીઓ પણ તેમની પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે.
રાજયનાં દરેક જિલ્લાઓમાં ગ્રામ વિકાસ એજન્સી હેઠળ 11 મહિનાનાં કરાર આધારિત કામ કરી રહયા છે. આઉટ સોર્સિંગ એજન્સી મારફત બ્લોક કો - ઓર્ડિનેટર, એન્જીનીયર સુપરવાઈઝર અને કલસ્ટર કો - ઓર્ડિનેટર તરીકે આ કર્મચારીઓ કાર્ય કરી રહયા છે. નજીવા પગારમાં છેલ્લા દસ વર્ષથી આ કર્મચારીઓ ફરજ બજાવી રહયા છે તેમનાં પગારમાં દસ વર્ષથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને છેલ્લા પાંચ મહિનાથી તો પગાર કરવામાં ન આવતા આર્થિક રીતે આ કર્મચારીઓ - પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત કરાર આઉટ સોર્સિંગ રોજમદાર કર્મચારી મહાસંઘનાં પ્રમુખે જણાંવ્યુ હતું કે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કામ કરતા આ કર્મચારીઓનું આર્થિક શોષણ થઈ રહયુ હોય આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. વેતન વધારો, એરીયર્સ આપવુ જેવી પડતર માગણીઓ સત્વરે ઉકેલાવામાં આવે. તા. 18મીથી રાજયનાં 500 થી વધુ કરાર આધારિત કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને જયાં સુધી પગાર કરવામાં નહિ આવે ત્યાં સુધી ફરજ પર ન આવવા મકકમ છે. વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશનનું સપનુ જોયુ છે તેને સાકાર કરવા પ્રયાસો કરી રહેલા પાયાનાં કર્મચારીઓ મહિનાઓથી પગાર વિહોણા છે.